Sihor
આ બે વનસ્પતિથી ચેતવું જરૂરી : આ ઘાસ અને આ ઝાડની નજીક ફરકતા પણ નહીં, જાતજાતની બીમારીઓ થઈ શકે છે ; સિહોરમાં આવાં ઢગલાબંધ વૃક્ષો છે
મિલન કુવાડિયા
સિહોર ભાવનગર સાથે રાજ્યભરમાં ઝડપતી ઉગતી આ વનસ્પતિ, ખેડૂતો તાકીદે પોતાના ખેતરોમાથી આ પ્રકારનું ઘાસ દૂર કરે તે જરૂરી, સિહોર અને પંથકમાં અતિશય પ્રમાણમાં આ પ્રકારની વનસ્પતિ
સામાન્ય રીતે ગાર્ડનમાં લોકો સ્વાસ્થ્ય સારું રાખવા માટે વોકિંગ અને કસરત કરવા માટે જતા હોય છે, પરંતુ તમે જે ઘાસ પરથી પસાર થાવ છો અથવા જે વૃક્ષ પાસે બેસે છો એ જ તમારો જીવ લઇ લે તો? જી હા, માનવ સ્વસ્થ્યને હાનિકારક એવાં ઝાડ અને ઘાસ રાજ્યભરમાં ઠેર-ઠેર ઊગી નીકળ્યાં છે. વૃક્ષનું નામ છે કોનોકાર્પસ અને ઘાસનું નામ છે પાર્થેનિયમ. જો તમે ભૂલથી પણ બંનેમાંથી એકની નજીક જશો તો શરીર ગંભીર બીમારીનો ભોગ બનશે. જોકે વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા કોનોકાર્પસ નામના વૃક્ષો હાલ દૂર કરવામાં આવી રહ્યાં છે. આ બંને વનસ્પતિ એટલી ખતરનાક છે કે તેની આજુબાજુના બીજા પ્લાન્ટને ઊગવા દેતા નથી. કોનોકાર્પસના કારણે એલર્જી અને શ્વાસની તકલીફ થઈ જાય છે. પાર્થેનિયમ ઘાસ આ પ્રકારની જ ગંભીર બીમારીને નોતરે છે. જો તેને કંટ્રોલ ન કરવામાં આવ્યું તો કોનોકાર્પસ વૃક્ષ કરતાં પણ વધારે ખતરનાક છે. પાર્થેનિયમ ઘાસને જંગલી ગાજરના નામે ઓળખવામાં આવે છે. આ એક હર્બેસિયસ ઘાસ છે, જેની સાઇકલ બેથી અઢી મહિનાની હોય છે. તે ખૂબ જ ઝડપથી ઊગે છે.
તે આખા વિશ્વમાં જોવા મળે છે અને ભારતમાં પાર્થેનિયમ ઘાસ 20 મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. તે આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલું હોવાથી આપણી જૈવિક વિવિધતા પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે અને તેના માટે આપણે કંઇ નહીં કરીએ તો તેની ખરાબ અસરો પડતી રહેશે. પાર્થેનિયમનાં બીજ ઘઉં સાથે મુખ્યત્વે તે ખેતરમાં જોવા મળે છે. ખેતરમાંથી તેને હટાવવા માટેના ખૂબ પ્રયાસ થાય છે, પરંતુ તેમાં ખૂબ મહેનત કરવી પડે છે. આ ઉપરાંત બોટનિકલ ગાર્ડન, શહેરના સામાન્ય ગાર્ડન, સોસાયટીઓના ગાર્ડનમાં જોવા મળે છે. જ્યાં પાઇપમાંથી પાણી લીક થયું હોય, ગટરનું પાણી લીક થતું હોય, એટલે કે, જ્યાં ભેજનું પ્રમાણ હોય ત્યાં આ પ્લાન્ટ ઊગી નીકળે છે. જો કે, તેને ઊગવા માટે થોડા ગરમ વિસ્તારની પણ જરૂર પડે છે અને ગરમ વિસ્તારમાં તે ઝડપથી વિકાસ પામે છે. પાર્થેનિયમના ફૂલમાંથી નીકળતી પરાગરજથી શ્વાસનો પ્રોબ્લમ શરૂ થઈ જાય છે. તમે તેની આજુબાજુમાં થોડા સમય માટે રહેશો તો આંખો સૂજીને લાલ થઈ જશે અને ખંજવાળ આવવા લાગશે. આ ઉપરાંત અસ્થમાના દર્દીઓને પણ પ્રોબ્લમ થઈ શકે છે. ઘણા લોકોને ડાયરિયા પણ થઈ જાય છે. ઘણા દર્દીને સ્ટીરોઇડની દવા પણ લેવી પડે છે. ખેતરમાં આ ઘાસ ઊગી નીકળતા પ્રોડક્શનમાં ખૂબ જ ખરાબ અસર કરે છે અને તેનાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે. મગ અને મગફળી જેવા પાકને ખૂબ નુકસાન કરે છે. તેનું ઉત્પાદન ખૂબ જ ઘટી જાય છે, કારણ કે, આ પ્લાન્ટ પાકમાંથી ન્યૂટ્રિશિયન ખાઈ જાય છે.