Sihor
સિહોર નગરપાલિકામાં ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટરો બેફામ ; વિપક્ષનો આરોપ

પવાર
- ચૂંટણી પુરી ફરી કકળાટ શરૂ
સત્તાધીશો જમાઈની જેમ કોન્ટ્રાક્ટરોને સાચવી રહ્યા છે, કોન્ટ્રાક્ટરોને છુટ્ટો દોર, કોન્ટ્રાક્ટરોથી શાશકો અને અધિકારીઓ દબાઈ છે ; જાની
સિહોર ભાજપ શાસિત નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાકટરોને સત્તાધીશો જમાઈ જેમ સાચવી રહયા હોવાનો આરોપ વિપક્ષના મુકેશ જાનીએ લગાવ્યો છે અગાઉ પણ વિપક્ષ ઘ્વારા કોન્ટ્રાકટરોની વિરૂધ્ધમાં રજુઆત કરેલ છે તેમ છતાં સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી અને હવે તો શહેરમાં એટલી હદે કોન્ટ્રાકટરોનું રાજ થઈ ગયું છે કે નિયમાનુસાર કરેલ કરારનો પણ ભંગ કરી પોતાની મનસુફીથી નિર્ણય લઈ કામ કરતા હોય છે. હાલમાં વોર્ડ નં. ૪ માં પાણીના બોરનો પેચીદો પ્રશ્ન કે જે છેલ્લા ૨ વર્ષથી કોન્ટ્રાકટરની લાપરવાહીથી ખોરંભે પડેલો તેમ છતા તેમની સામે સત્તાધીશો ઘ્વારા કોઈ પગલાં લેવાયા નથી. પણ આનાથી આગળ વધી સ્વસ્તિક સોસાયટીનો બોર તાત્કાલીક ચાલું કરવા અંગે વિપક્ષનાં મુકેશભાઈ જાની અને ઉષાબેને આવેદન આપ્યા પછી આ કામ કરવા અંગે નિર્ણય થતા કોન્ટ્રાકટર અચાનક એક દિવસ બપોર પછી બોરની ગાડીને મોકલી દઈ અને બોરનું કામ ચાલુ કરી દીધેલ. કોઈ નગરપાલિકાના જવાબદાર અધિકારી કે એન્જીનીયર કે સ્થાનિક વોર્ડના સભાસદોને આ કામ અંગેની જાણ કરવામાં આવેલ નહી. તેમછતા બોરીંગવાળા પોતાની મનસુફીથી તેમની અનુકુળતા મુજબ બોર કરીને જતા રહયા. અગાઉ આવી બાબતે જવાબદાર એન્જીનીયર તેમજ સભાસદોને પણ આ અંગેની જાણ કરવામાં આવતી હતી. જવાબદાર અધિકારી હાજર રહી અહીનો રીપોર્ટ કરતા હતા. પણ આ કેસમાં આવું કશું કરવામાં આવેલ નથી.
તપાસ કરતા માલુમ પડેલ છે કે એન્જીનીયરને પણ આ અંગેની જાણ કરવામાં આવેલ નહી. જો આ બોર ફેઈલ જાય કે કેટલી ઉંડાઈ સુધી લઈ જવો છે પાણીનું પ્રેશર કેમ રહેશે તેમજ પાણી પીવા લાયક છે કે નહી આવી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો આના જવાબદાર કોણ ?લોકોના સ્વાસ્થ્યની સાથે ગંભીર ચેડા થવાની સંભાવના હોવા છતા શાસકો ઘ્વારા આ બાબતે કોઈ નિર્ણય કરવામાં આવતો નથી. અને તેથી કોન્ટ્રાકટરોને છૂટો દોર મળી ગયેલ છે. અધિકારીઓ દબાઈ ગયેલા હોય તેમ કોન્ટ્રાકટરોને મનફાવે તેમ કામગીરી કરવા દે છે. સિહોર નગરપાલિકામાં કોન્ટ્રાકટરોને અલગથી ચેમ્બર ફાળવવામાં આવેલ છે. અને જેને લઈને યોજનાના કામો ચાલતા હોય ત્યાં હાજર રહેવાના બદલે કોન્ટ્રાકટરોના જવાબદાર એન્જીનીયરો ઓફીસમાં બેસી ગપ્પા મારતા હોય છે. નગરપાલિકાના પંખા અને લાઈટો બાળતા હોય છે. જયારે સ્થળ ઉપર કામ રામ ભરોસે ચાલતું હોય, જેથી આવી કામગીરીમાં નબળી કક્ષાનું કામ થતું હોય. લોટ પાણી કે લાકડાં જેવો ઘાટ દરેક કામમાં થતો હોય છે. તેમછતા કયારે પણ કોન્ટ્રાકટરો સામે સત્તાધીશો સામે કોઈપણ જાતના કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી. અને જાણે કે આ બધું સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતથી ચાલતું હોય તેથી સરકારશ્રીના નાણાંનો ખૂબ જ મોટાપાયે દૂરઉપયોગ થઈ રહયો છે. આમ સત્તાધીશોની મીઠી નજરતળે કોન્ટ્રાકટરો બેફામ બની ગયા છે.