Sihor
ફ્રી વીજળી – સારવાર : ખેડૂતોનું દેવુ માફ… ૧૦ લાખ નોકરી : ૫૦૦માં બાટલો કોંગ્રેસે ઘોષણાપત્ર કર્યું જાહેર

ગુજરાત કોંગ્રેસે જાહેર કર્યું ઘોષણાપત્ર : વચનોનો વરસાદ : યુવા – મહિલા – ખેડૂત તમામ માટે લોકલુભાવન વાયદા : ‘બનશે જનતાની સરકાર’ના નામે અશોક ગેહલોટે બહાર પાડયો ચૂંટણી ઢંઢેરો : રાહુલ ગાંધીના ૮ વચનો કેન્દ્ર સ્થાને. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામાંકન પ્રક્રિયાની વચ્ચે રાજકીય પક્ષો દ્વારા મતદારોને પોતાના પક્ષમાં લેવાનો સંઘર્ષ તેજ થતો જોવા મળી રહ્યો છે. નેતાઓ પ્રજાલક્ષી વચનો આપી રહ્યા છે, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસે પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસનો ઘોષણાપત્ર ‘જન મેનિફેસ્ટો ૨૦૨૨’ બહાર પાડ્યો હતો. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે લોકપ્રિય વચનો આપ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઢંઢેરામાં દરેક ગુજરાતીને ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને મફત દવાઓની સાથે ૩૦૦ યુનિટ મફત વીજળી, બાકી વીજળીના બિલો માફ કરવાનું વચન આપવામાં આવ્યું છે.સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસે ૧૦ લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે અને કહ્યું છે કે મહિલાઓને ૫૦ ટકા અનામત આપવામાં આવશે. કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરેલા જાહેર ઢંઢેરામાં સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની પ્રણાલી ખતમ કરવાનું, બેરોજગારોને દર મહિને ૩૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવાનું પણ વચન આપ્યું છે. કોંગ્રેસના ઘોષણાપત્ર મુજબ સામાન્ય ગ્રાહકો માટે ૩૦૦ યુનિટ વીજળી મફત રહેશે. આ ઉપરાંત કોંગ્રેસે દરેક ગુજરાતીને ૧૦ લાખ સુધીની મફત સારવારનું વચન આપ્યું છે. કોંગ્રેસના ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વીટ કર્યું, ‘કોંગ્રેસનો હાથ હંમેશા ખેડૂતોની સાથે રહ્યો છે.’ ગુજરાતના ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે પાકના ભાવ મેળવવા માટે ‘પ્રાઇસ ફિક્સેશન કમિટી’ની રચના કરવામાં આવશે. ગુજરાતના ખેડૂતોની હાલત બદલીશું, ગુજરાતના ખેડૂતો કોંગ્રેસને સાથ આપશે