Bhavnagar
ભાવનગરના હિરાબજાર અને હિરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને અસામાજિક તત્વોના ત્રાસમાંથી મુક્ત કરાવવાની માંગ
![demand-to-free-the-traders-involved-in-bhavnagars-hirabazar-and-hiraudyog-from-harassment-by-anti-social-elements](https://shankhnadnews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-29-at-8.43.50-PM.jpeg)
દેવરાજ
ભાવનગર શહેરમાં હીરા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તથા કારખાનેદારોને એક માથાભારે શખ્સ તથા તેની ગેંગ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જેથી ભાવનગર જિલ્લા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા રેન્જ આઈજીને આવેદનપત્ર આપી આ માથાભારે શખ્સના ત્રાસમાંથી તત્કાળ મુક્ત કરાવવાની માંગ કરી હતી. ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગ સાથે લાખો પરીવારો નિર્ભર છે અને સેંકડો ગરીબ-મધ્યમવર્ગીય પરીવારો આ ઉદ્યોગ થકી રોજીરોટી રળી પોતાની આજીવિકા ચલાવે છે ત્યારે આ ઉદ્યોગ જગતમાં માંધાંત ગણાતા અગ્રણી વેપારીઓ પેઢી ધારકો સ્થાનિક પ્રશાસનના પ્રોત્સાહન-પ્રોટેક્શનના અભાવે પોતાનો વ્યવસાય અત્રેથી હિજરત કરી સુરત મુંબઈ જેવાં સુરક્ષિત મહાનગરોમાં સ્થાપ્યો છે એ સાથે બાકી રહેલા નાનાં મોટાં વેપારીઓ પેઢી ધારકો પણ હાલમાં અનેક પડકારો સામે જજૂમી રહ્યાં છે
અને પોતાનો વ્યવસાય અહીંથી સંકેલી સુરત જેવા શહેરોમાં સ્થળાંતરિત કરવા વિચારમગ્ન બન્યાં છે આ હિજરતનુ સૌથી મોટું કારણ છે, ભાવનગરમાં સલામતીનો સદંતર અભાવ. આ સુરક્ષા સંદર્ભે ભાવનગર જિલ્લા ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા એસપી કચેરી સ્થિત રેન્જ આઈજીને આવેદનપત્ર આપવા દોડી આવ્યાં હતા. આ અંગે વેપારીઓએ રજૂઆત કરી છે કે, શહેરમાં હીરાના કારખાના ઓફીસો ધરાવતા નાનાં મોટાં વેપારીઓને છેલ્લા કેટલાક સમયથી ભરત છેલા રાઠોડ-ભરવાડ તથા તેના ભાઈઓ અને ગેંગના સાગરીતો હેરાન પરેશાન કરે છે તેઓને શારીરિક માનસિક ત્રાસ આપે છે. આ શખ્સ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ ગેંગની ધાકને પગલે સમગ્ર હિરા ઉદ્યોગ અને વેપારીઓ અસલામતી અનુભવી રહ્યાં છે. આ ભરત તથા તેના સાગરીતો-ભાઈઓ દ્વારા ગેરકાયદે મિલ્કતો પડાવી લેવી ધાકધમકી આપવી સહિતના ગુનાઓ આચરી રહ્યાં છે. આથી ભાવનગરના હિરા ઉદ્યોગ તથા ઉદ્યોગકારોને બચાવવા આ આણીમંડળી વિરુદ્ધ કાયદાકીય સખ્ત પગલાં લેવામાં આવે એવી માંગ કરી છે.