Bhavnagar
સગીરાની આત્મહત્યાની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાત ; સુરકા ગામની ઘટનામાં કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવે ; આઈજી ગૌતમ પરમાર

સુરકાની સગીરાની આત્મહત્યાની ઘટનામાં આઈજી અને એસપીને રજુઆત બાદ બન્ને ઉચ્ચ અધિકારી સુરકા પોહચ્યા ; આઈજી તાકીદે પહોંચ્યા સુરકા અને ઘટના અંગે મેળવી સાચી હકીકત : 3 ઈસમો હેરાન કરતા સગીરાએ ટાંકામાં પડી કરી હતી આત્મહત્યા ; આ ઘટનામાં કોઈને પણ છોડવામાં નહિ આવે ; ગૌતમ પરમાર
સિહોર તાલુકાના મોટાસુરકા ગામના 3 શખ્સોની સતત પજવણીથી કંટાળી જઈ સિહોર પંથકની એક સગીરાએ ગઈ તા. ૧૯મીના રોજ ઝેરી દવા પીધા બાદમાં પોતાના ઘરમાં આવેલા પાણીના ભૂગર્ભ ટાંકામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધાની ઘટનામાં આજે સિહોર અને સુરત પંથકના સમાજના આગેવાનો ડીઆઈજીને મળ્યા હતા અને આ ગંભીર બનાવમાં તાકીદે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.જ્યારે ડીઆઈજી એ પણ આ બનાવમાં કોઈને પણ છોડવામાં નહિ આવે તેવી ખાત્રી આપી હતી.
સિહોર પંથકમાં બનેલી આત્મહત્યાની ઘટના કે જેમાં પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ કોઈ આકસ્મિક ઘટના હોય અને ત્યારબાદ જે હકીકત સામે આવી ત્યારે પરિવારના પણ હોંશ ઉડી ગયા. પોતાની વ્હાલસોયી દીકરી ને ત્રણ ઈસમો હેરાન કરતા હોય જે બાબત થી પરિવાર અજાણ હોય અને દીકરીએ પણ આ અંગે કોઈ વાત તેના પરિવારને ન કરતા આખરે આ દીકરીએ મોતને વ્હાલું તો કર્યું પણ ત્યારબાદ હવે આ પરિવાર ન્યાય માટે જંગે ચડ્યો છે.
જેમાં સુરકા પંથકના આગેવાનો અને સુરતના આગેવાનો આ ઘટનામાં આજે ડીઆઈજી ને મળવા પહોચ્યા હતા.તેમની સાથે મળી સમગ્ર બાબત જાણ્યા બાદ આ બનાવમાં તેઓ યોગ્ય તપાસ કરી પૂરતો ન્યાય અપાવશે તેમ જણાવ્યું હતું.જ્યારે તાકીદે ડીઆઈજી અને એસપી બંને સુરકા પહોંચી સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
જેમાં સગીરા ને ત્રણ ઈસમો હેરાન કરતા હોય જેથી આ સગીરાએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.આ ત્રણેય હાલ ફરાર હોય જેથી તાકીદે હવે આ ઘટના માં પોલીસ તંત્ર એક્શનમાં આવશે અને આ ઘટનામાં કોઈપણ ચમરબંધી ને છોડવામાં નહિ આવે તેવી ખાતરી આપી હતી.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ભાવનગર જિલ્લા ઉપરાંત સુરત માં પણ પડયા છે અને ત્યાં પણ સમાજના આગેવાનો દ્વારા આ ઘટનામાં તાકીદે ભોગ બનનારના પરિવારને ન્યાય મળે તે અંગે રજુઆત કરી હતી ત્યારે હવે પોલીસ આ ઘટનામાં કેટલી ઝડપી કામગીરી કરી સાચી હકીકત સામે લાવી આ ઘટનામાં હેરાન કરનાર ઈસમો સામે કેવી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.