Bhavnagar
ચીનથી પરત ફરેલા ભાવનગરના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ : ફફડાટ
પવાર
વેપારીને કવોરન્ટાઇન કરી જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા : આરોગ્ય તંત્ર એલર્ટ : સંપર્કમાં આવેલાની તપાસ શરૂ
હાલ ચીનમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યાંથી જ પરત ફરેલા ભાવનગરના એક વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે . ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપીડ ટેસ્ટ કરાતા પોઝિટિવ આવ્યો હતો. વેપારી યુવાનને ક્વોરન્ટાઈન કરી RTPCR અને જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. યુવાનના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જીનોમ સિકવન્સિંગ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી ચીનમાં હાલ કોરોનાએ જે કહેર મચાવ્યો છે તેમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7 જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચીનથી પરત આવેલા વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ લઈ જીનોમ સિકવન્સિંગ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગરમાં ટેસ્ટ વધારવા સૂચના આપવામાં આવી ભાવનગર મનપા કમિશનરે વર્તમાન સ્થિતિને જોતા શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સૂચના આપવામાં આવી છે. હાલ દરરોજ 100 જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે તે વધારવાની સૂચના આપવામાં આવી છે. PHC અને સરટી હોસ્પિટલમાં લોકો ફ્રીમાં ટેસ્ટ કરાવી શકશે. ભાવનગરમાં રેપિડ ટેસ્ટ માટે અને RTPCR માટે પૂરતી કીટ ઉપલબ્ધ હોવાનું કહ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર ઉપાધ્યાયએ જણાવ્યું છે કે, કોવિડનું સંક્રમણ ન ફેલાય એ માટે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં છેલ્લા 21 દિવસમાં કોવિડનો એકપણ પોઝિટિવ કેસ ન હતો. પરંતુ ચાઈનાથી પરત ફરેલ એક વેપારી એ કોવિડ ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી હેલ્થ વિભાગે આ વેપારીને ક્વોરન્ટાઈન કરી સારવાર શરૂ કરી છે એ સાથે આ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ પરિજનોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં ફરી કોરોના વકરે તેવી ચર્ચા જાગી છે.