Bhavnagar
કોંગ્રેસના ભવરસિંહ ભાટ્ટીએ કહ્યું ગુજરાતમાં MLA પણ સુરક્ષિત નથી, તો આમ જનતા કઈ રીતે સુરક્ષિત રહી શકે

ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર જાહેરમાં હુમલા મામલે અધિક કલેક્ટરને રાજસ્થાનના કેબિનેટ મંત્રી અને ભાવનગરના પ્રભારી ભવરસિંહ ભાટ્ટીની ઉપસ્થિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રાજસ્થાનના કેબિનેટ મંત્રી અને ભાવનગરના પ્રભારી ભરવરસિંહ ભાટ્ટીએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે.
મહિલાઓ પર અત્યાચાર, ભષ્ટ્રાચાર, દારૂના હાટડાઓ, કરોડોના ડ્રગ રોજ પકડાઈ રહ્યા છે. ગુંડા તત્ત્વો બેફામ બન્યા છે કે પછી આ સરકારમાં આવા લોકોને છૂટો દોર આપવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને જાહેરમાં હુમલો કરી માર મારવામાં આવ્યો છે.
લોકોના પ્રતિનિધિ એવા ધારાસભ્ય પણ સલામત નથી તો આમ જનતા કેવી રીતે સુરક્ષિત રહી શકે, ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા મામલે સંડોવાયેલા તમામ લોકોની ધરપકડ કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત વેળાએ ભાવનગર શહેર અને જિલ્લા પ્રમુખ, કોંગ્રેસના તમામ આગેવાન, કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ, તેમજ વિવિધ સેલના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.