Bhavnagar
વડાપ્રધાન સામે વાહિયાત આક્ષેપો કરાયા છે : પાકના વિદેશમંત્રીએ બુધ્ધિનુ દેવાળુ ફુંકયુ છે..

દેવરાજ – પવાર
- સિહોરમાં ભાજપ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી મામલતદારને વિસ્તૃત આવેદન : રજુઆત : પૂતળા દહન, પાકિસ્તાન મૂર્દાબાદ-બીલાવલ ભુટ્ટો હાય..હાય ના નારા લાગ્યા
સિહોર ભાજપના કાર્યકરોએ પાકિસ્તાન મૂર્દાબાદ બીલાવલ ભુટ્ટો હાય..હાય ના નારાઓ સાથે મામલતદારને આવેદન પાઠવી યુએનએસસીમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર કરાયેલ અણછાજતી ટિપ્પણી સામે વિરોધ વ્યકત કર્યો હતો. આવેદનમાં ઉમેર્યુ હતુ કે, યુએનએસસીની બેઠકમાં ભારતના વિદેશમંત્રીના આતંકવાદના કડક વલણ મુદ્દે કોઇ જવાબ આપવાની અવસ્થામાં ન હોવાથી બોખલાઇ જઇને, વિશ્વ નેતા એવા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી માટે, પાકિસ્તાનના વિદેશમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રકારે નીચ કક્ષાની વાત કરી છે તેનાથી સમગ્ર દેશના નાગરિકો ગુસ્સામાં છે અને અપમાનિત થયાની લાગણી અનુભવે છે.
આવા બેજવાબદાર નિવેદનનો અમે ગુજરાત પ્રદેશ ભાજપાના સૌ કાર્યકરો અને દેશના તમામ નાગરિકો વિરોધ કરીએ છે અને તેની સખ્ત નિંદા કરીએ છીએ. જયાં વર્ષોથી સક્ષમ સરકાર નથી, જે આખો દેશ અને સમુદાય જેહાદ માટે જાણીતો છે એ પાકિસ્તાનની સરકારના બાલિશ વિદેશમંત્રી દ્વારા આપણા દેશના વડાપ્રધાન સામે વાહિયાત, તદ્દન ખોટા અને પાયાવિહોણો આક્ષેપ કરી નરેન્દ્રભાઇની છબી ખરડવાનો હિનપ્રયાસ બિલકુલ માફીને લાયક નથી. અમે એમના નિવેદનને વખોડીએ છીએ તેમજ તેની સામે વિરોધ નોંધાવીએ છીએ.
પાકિસ્તાનના વિદેશ મંત્રીની બુદ્ધિએ જાણે દેવાળું ફૂંક્યુ હોય તેમ ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી વાણીવિલાસ કરેલ છે. યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલની અતિ મહત્વની બેઠકમાં, આખું વિશ્વ જેનાથી ત્રસ્ત છે તેવા, આતંકવાદના મુદ્દા પર ચર્ચા થતી હોય તેમા ભારત સરકાર વતી ભારતના વિદેશમંત્રીની સબળ અને સક્ષમ રજૂઆતથી હેબતાઇ જઇને અને ભારતના આતંકવાદ સામે લડવાના અસરકારક અભિગમના કારણે જ્યારે સમગ્ર વિશ્વના દેશો ભારતની પડખે ઊભા રહ્યા છે, ત્યારે પોતાની દોગલી નીતિ અને બીજા દેશોના ટુકડે જીવનાર દેશ પાકિસ્તાન કે જે આતંકવાદ અને આતંકવાદીઓનું જનક છે તેના વિદેશમંત્રી કોઇ જીહાદી સંગઠન સાથે જોડાયેલા હોય એવું બિન જવાબદાર નિવેદન કર્યુ છે.અમે આપના માધ્યમથી ભારતના રાષ્ટ્રપતિશ્રીને આ આવેદન પાઠવીએ છીએ.