Sihor
સિહોર ભાવનગર વચાળે નવાગામ રોડ પાસે ક્રેઈન અને બુલેટ અકસ્માતમાં 1 નું મોત

દેવરાજ
- માથાના ભાગે ગંભીર ઈજા પામેલા યુવાને ખાનગી હોસ્પિટલમાં દમ તોડયો ; સરદારનગરનો યુવાન બુલેટ લઈ રાજકોટ જતો હતો ત્યારે કાળનો કોળિયો બન્યો, ક્રેઈનનો ચાલક ફરાર
સિહોર ભાવનગર વચાળે આવેલા નવાગામ નજીક ક્રેઈન અને બુલેટ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ભાવનગરના યુવાનનું ખાનગી હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી ક્રેઈનનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ કનૈયાલાલ બાલાણી (ઉ.વ.૪૦, રહે, સરદારનગર) ગઈકાલ તા.૧૮-૧૨ના રોજ સવારના સમયે પોતાનું બુલેટ નં.જીજે.૦૪.ડીએમ.૨૪૧૮ લઈ ભાવનગરથી રાજકોટ જઈ રહ્યા હતા. આ સમયે નવાગામ (ચિરોડા) નજીક ખોડલ પેટ્રોલપંપ પાસે પહોંચતા પેટ્રોલપંપ તરફથી નવાગામ સ્થિત આવડ કૃપા કંપનીની એક પીળા કલરની ક્રેઈન આવી રહી હતી.
જેના ચાલકે ક્રેઈનને ગફલતભરી રીતે ચલાવી અચાનક જ રોડ ક્રોસ કરતા બુલેટ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં બુલેટના ચાલક દિનેશભાઈ બાલાણીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ ભાવનગર સર ટી.હોસ્પિટલ અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાતા તેઓનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ ગોપાલભાઈ કનૈયાલાલ બાલાણી (ઉ.વ.૪૯, રહે, આદિત્ય ટુ, સરદારનગર, ઘર નં.૩૦૨)એ ક્રેઈનના ચાલક સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૨૭૯, ૩૦૪એ, ૩૩૭, ૩૩૮ અને એમ.વી. એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.