Gujarat
30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે અંબાજીની મુલાકાતે
![Prime Minister Narendra Modi will visit Ambaji on September 30](https://shankhnadnews.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-24-at-11.07.22-AM.jpeg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારનાર હોઇ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે કાર્યક્રમની તૈયારીઓ માટે બેઠક યોજી હતી. જેમાં કલેક્ટરએ વિવિધ વિભાગો અને અધિકારીઓને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંબાજી ખાતેનો કાર્યક્રમ ગરિમાપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે થાય એ માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રએ શરૂ કરી તૈયારીઓ
વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો સાથે તેમને સુપ્રત કરેલ કામગીરીની મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરી હતી તથા તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલ જવાબદારી પૂરતી કાળજી અને તકેદારીપૂર્વક નિભાવવા સૂચન કર્યું હતું. જિલ્લા કલેકટરએ કાર્યક્રમ સ્થળે સુશોભન, વીજ પુરવઠો, મહાનુભાવો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા, સાફ-સફાઈની કામગીરી, આરોગ્ય વિષયક વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી. આમ ભારતના પ્રધાનમંત્રી બનાસકાંઠાની ધરતી પર આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.