Astrology
આજે દિવાસો, હરિયાળી અમાસ, સોમવતી અમાસ તથા એવરત જીવરત વ્રતનું રાત્રી જાગરણ
![Night Vigil of Diwaso, Hariyali Amas, Somvati Amas and Everat Jeevarat Vrat Today](https://shankhnadnews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-08.47.47.jpg)
દેવરાજ
તા.17મીના આજે દિવાસો છે. સાથે સોમવતી અમાસ તથા હરિયાળી અમાસ છે. આ દિવસે એવરત જીવરત વ્રત પણ છે. દિવાસોને સો પર્વનો વાસો કહેવામાં આવે છે. એટલે કે દિવસાના દિવસથી દેવદિવાળી સુધી આશરે 100 દિવસમાં બધા જ મુખ્ય તહેવારો આવે છે. આથી જ દિવાસોને સો પર્વનો વાસો કહેવામાં આવે છે. સોમવારે દિવાસાની સાથે સોમવતી અમાસ પણ છે. આથી આ દિવસે સવારે મહાદેવજીની પૂજા કરવી લાભદાયી છે. શિવમંદિરે જઈને દૂધ, કાળાતલ અને સાકરનો ભુકકો મીકસ કરીને શિવલીંગ પર ‘ૐ નમ: શિવાય’નો જાપ બોલતા ધાર રેડવી. ત્યારબાદ પીપળે દીવો અથવા અગરબતી કરી પીપળે પિતૃને પાણી રેડવું. પ્રદક્ષિણા કરવી. આખો દિવસ ઉપવાસ અથવા એકટાણું રહેવું.
આ દિવસને હરિયાળી અમાસ પણ કહેવાય છે. આ દિવસે વૃક્ષો વાવવાનું પણ મહત્વ છે. આ દિવસે એવરત જીવરતનું વ્રત પણ છે. પરિણીત મહિલાઓ આ દિવસે મીઠા વગરનું ભોજન લઈને એકટાણું કરશે. એવરત જીવરત માતાજીનું પૂજન કરશે તથા જવારાનું પણ પૂજન કરવામાં આવે છે. તથા આખી રાતનું જાગરણ પણ હોય છે. આ વ્રત સંતાનોની રીક્ષા માટે તથા પતિદેવની રક્ષા માટે કરાય છે.
દશામાનું વ્રત
ખાસ કરીને દશા માતાજીના વ્રતની શરૂઆત દિવાસોના દિવસથી થાય છે. આ વ્રત દસ દિવસનું હોય છે. પરંતુ આ વર્ષે દિવસો પછી પુરુષોતમ માસ (અધિક માસ) હોવાથી પંચાંગના નિયમ પ્રમાણે આ વ્રતની શરૂઆત અધિક શ્રાવણ વદ અમાસના બુધવારે બપોરે 3-08 કલાકે એકમ તિથિની શરૂઆત થાય છે આથી તા.16મી ઓગષ્ટના બુધવારના બપોરે 3-08 કલાક પછી દશામાનું સ્થાપન કરી શકાશે.