Sihor
માવઠાનો માર સહન કરનાર સિહોર પંથકને પણ વળતર આપવા માંગ – આંદોલનના એંધાણ
પવાર
સિહોર પંથકમાં માવઠાના કારણે રવિ પાકને થયું છે નુકશાન, જીલ્લાના પાંચ તાલુકામાં નુકશાની સહાય જાહેર કરવામાં આવી, સિહોરને બાકાત રાખતા ખેડૂતોમાં રોષ, સરકાર પાસે ફરી સર્વે કરાવી વળતર ચુકવવા કરી માંગ, અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી.
ચાલુ વર્ષે શિયાળા ઋતુમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક જીલ્લામાં ખેડૂતોની કમર તોડી નાખી છે.જેને લઇ રાજ્યની સરકારે તાકીદે સર્વે કરાવી ખેડૂતોને વળતર ચુકવવા અંગેની કામગીરી હાથ ધરી છે. જેમાં ખાસ વાત કરીએ ભાવનગર જીલ્લાની તો જીલ્લાના પાંચ તાલુકા જેમાં ઘોઘા, તળાજા, મહુવા, ગારીયાધાર અને પાલીતાણા તાલુકાના ખેડૂતો માટે સરકારે સર્વે કરાવી અને વળતરની જાહેરાત કરી છે.
પરંતુ આ કમોસમી વરસાદમાં જ્યાં ૯૦ મીમી કરતા પણ વધુ વરસાદ પડ્યો છે અને જ્યાં પણ વ્યાપક નુકશાની માવઠાના કારણે થઇ છે તેવા સિહોર તાલુકાને માવઠાની નુકશાની સહાય માંથી વંચિત રાખવામાં આવતા સિહોર પંથકના ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી છે અને તેઓ પણ સરકાર પાસે યોગ્ય સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે.
સિહોર પંથકમાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં,ચણા,જુવાર, બાજરી સહિતના રવિ પાકો તેમજ બાગાયતી પાકો જેમાં લીંબુ, કેરી સહિતના પાકોને નુકશાન થયું છે ત્યારે સિહોરના ખાંભા ગામ સહિતના ખેડૂતોએ સરકાર પાસે માવઠાની નુકશાની સહાય માં વળતરની માંગ કરી રહ્યા છે અન્યથા તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.