Sihor
સિહોર પંથકમાં માવઠાની ભારે અસર ; ખેડૂતને પડ્યો બેવડો માર.
બ્રિજેશ ગોસ્વામી
આ વિસ્તારમાં સતત માવઠા અને ખરાબ વાતાવરણના કારણે ખેતરોમાં ઉભા રવિ પાક જેમાં ઘઉં,ચણા, ધાણા,ડુંગળી જેવા પાકો ખરાબ થયા ; ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી વળતરની માંગ કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં ગત અઠવાડિયામાં સિહોર પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે આ પંથકમાં અડધાથી એક ઇંચ કરતા વધુ ધોધમાર વરસાદ વરસી જતા ખેતરોના ઉભા પાકને ભારે નુકશાન પહોંચ્યું હતું. ભર ઉનાળે અષાઢી જેવા માહોલથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી હતી જ્યારે જગતનો તાત આ વરસાદથી વધુ મુશ્કેલીમાં મુકાયો હતો. જ્યારે સિહોર તાલુકાના ટાણા, વરલ, થાળા, બેકડી, ગુંદાળા, લવરડા, બુઢણા,અગીયાળી, દેવગણા, વાવડી, રાજપરા, બોરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં ઉભા રવિ પાકને ભારે નુકશાની થવા પામી હતી.
આ વિસ્તારના ખેડૂતોએ આ વર્ષે રવિ પાકમાં આગતર અને પાછતર પાકોમાં ઘઉં, ચણા, ડુંગળી,ઘાણા સહિતના પાકોનું વાવેતર ભારે મહેનત સાથે કર્યું હતું અને જ્યારે લણવાનો સમય પાકી ગયો ત્યારે જ માવઠાએ ખેતરમાં ઉભો પાક પલળી અને ખરાબ થઈ જતા ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. ઘઉં સહિતના પાક પલળીને ખરાબ થઈ જતા તેમજ બાગાયતી પાકો પણ ખરી જતા હવે ખેડૂતો સરકાર પાસે તાકીદે સર્વે કરવી વળતર આપવા માંગ કરી રહ્યા છે જેથી તેમણે ખેતીપાકમાં કરેલા ખર્ચમાં થોડી રાહત મળી શકે અને ફરી આગામી ચોમાસાની ખેતીની તૈયારી કરી શકે.