Sihor
સિહોરના ટાણા ચોકડી પાસેનો રોડ ભાંગીને ભુક્કો, મોતના ખાડામાં રીક્ષાની પલ્ટી
પવાર
24 કલાક ધમધમતા માર્ગો પરથી હાલક ડોલક સ્થિતીમાં પસાર થતા વાહનો, રોડ ભાંગીને ભુક્કો, તંત્ર મૂકબધિર, મોતના ખાડાઓ ક્યારે બુરશો.?
સિહોર શહેરમાંથી પસાર થતો ભાવનગર-રાજકોટ રોડ સાવ તૂટીને ભાંગીને ભક્કો થઈ જવા પામ્યો છે. સામાન્ય અંતરે મોટા મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. પેવનના પુલ પાસેથી શરૂ કરીને છેક દાદાની વાવ સુધી સતત ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં ભારે હેરાનગતિ વેઠવી પડે છે.


આ મસમોટા ખાડાઓથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આજે એક રિક્ષાએ પલ્ટી મારી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. બસ સ્ટેન્ડ પાસે, નગરપાલિકા ઓફિસ, પોલીસ સ્ટેશન, વડલા વિસ્તાર, ટાઉનહોલ, ભાંગના કારખાના સામે, મામલતદાર ઓફીસ થઈને સિહોરના છેવાડાના વિસ્તાર સુધીના માર્ગમાં ઠેર-ઠેર ખાડાઓ પડી જવા પામ્યા છે. ત્યાંથી પસાર થતા દરેક વાહનો હાલક-ડોલક હાલતમાં નિકળતા હોય છે. ૨૪ કલાક સુધી સતત ધમધમતા આ હાઈવે પરથી આજુબાજુના ગામડાઓના લોકો હટાણા માટે, ધંધા રોજગાર માટે, અભ્યાસ માટે શાળા, કોલેજના વિદ્યાર્થીઓને તેમજ નાજુક સ્થિતિના દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ જેવા વાહનોના ચાલકોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકીઓનો સામનો કરવાનો વખત આવે છે.


ચોમાસાના લીધે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને ખબર જ ન પડે કે, ખાડો કેટલો મોટો છે. મોટા ભાગના ખાડાઓ ચારથી પાંચેક ફૂટ જેટલા મોટા છે. જયારે નાના વાહનો જેવા કે, ટુ વ્હીલર અને રીક્ષાના ટાયર નાના હોય આ ખાડાઓમાં પડતા જ ટાયર ફાટી જવાની ઘટનાઓ બનવા પામેલ છે. આવા નાના વાહનો ખાડામાંથી પસાર થતી વેળા બાળકો પડી જવાની ઘટના પણ બનતી હોય છે. કારણ કે, મોટા ભાગના ખાડાઓ એટલા મોટા છે કે, બેલેન્સ રહે જ નહી.તેમાં જો કોઈ મોટુ વાહન ફસાઈ જાય ત્યારે કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે. બાળકો સ્કુલે સમયસર પહોંચી શકતા નથી અને દર્દીઓને સમયસર દવાખાને પહોંચાડી શકાતા નથી, નોકરીયાતો સમયસર ઓફિસે પહોંચી શકતા નથી. અંધેર તંત્રની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમાઈ રહ્યા છે જે ગંભીર હકીકત સ્થાનિક રહિશોમાં ટીકાને પાત્ર બની રહેલ છે.