Sihor
મોટો પર્દાફાશ ; પાલીતાણામાં 74 બોગસ પેઢી અને 137 કરોડની કરચોરી ઝડપાઈ
શંખનાદ કાર્યાલય
- GST વિભાગે કૌભાંડનો પર્દાકાશ કર્યો, 4 હજાર કરોડનું ટર્નઓવર અને 137 કરોડની કરચોરીનો ખુલાસો, 1500 થી વધુ આધારકાર્ડના મોબાઈલ નંબર બદલી નાખવામાં આવ્યા, આધાર કાર્ડ સાથે ચેડા કરી નકલી GST નંબર બનાવવામાં આવ્યા
પાલીતાણામાંથી જીએસટી વિભાગ દ્વારા કરચોરીનું મોટા કૌભાંડનો પર્દાકાશ કરવામાં આવ્યો છે. GST વિભાગે 74 બોગસ પેઢી અને અંદાજે 4 હજાર કરોડનું ટર્નઓવર અને 137 કરોડની કરચોરી ઝડપી પાડી છે. ભાવનગરના પાલિતાણાના આધાર કેન્દ્રમાં આ સમગ્ર કૌભાંડ ચાલતું હોવાનો પર્દાકાશ થયો છે. મળતી માહિતી અનુસાર જરૂરિયાત મંદ વ્યક્તિઓના આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતા હતા. આ રીતથી 1500 થી વધુ આધાર કાર્ડના મોબાઈલ નંબર બદલી નાખવામાં આવ્યા હતા અને તે આધાર કાર્ડના આધારે CGST નંબર મેળવવામાં આવતા હતા. આધાર કાર્ડ સાથે ચેડાં કરીને નકલી GST નંબર બનાવવામાં આવતા હોવાના તપાસ ખુલાસાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે , લોકો પાસેથી સરકારી સહાય આપવાના બહાને ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા.
બનાવટી દસ્તાવેજોની એપ્લિકેશન પણ પકડવામાં આવી છે . આ સમગ્ર કૌભાંડ એક કંપની દ્વારા આચરવામાં આવતું હતું અને બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવવામાં આવતા હતા.છેલ્લા 8 મહિનામાં 1500 થી વધુ આધારકાર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નકલી આધારકાર્ડના આધારે આરોપીઓ દ્વારા 470 જીએસટી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા જેમાંથી 118 નકલી રજીસ્ટ્રેશન ગુજરાતમાં થયા હતા આ કૌભાંડમાં સમગ્ર ભારતમાં 2700 થી વધુ નકલી જીએસટી નંબરો મળી આવ્યા હતા . હાલ પોલીસે 7 શકમંદ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.