Sihor
સિહોર ; જાંબાળા અને રબારીકાથી દેવગાણા, અગિયાળી સુધીનો રોડ બિસ્માર હાલતમાં
પવાર
- તા.પં.ના પૂર્વ સદસ્યાએ ઉચ્ચ કક્ષાએ આવેદન પાઠવ્યું ; ગેરેન્ટી પિરિયડમાં બનાવાયેલા મોટાભાગના રોડ ટૂંકા સમયમાં ખખડધજ બની જતા વાહનચાલકોને હાલાકી
સિહોર તાલુકાના જાંબાળા ગામથી દેવગાણા અને રબારિકાથી દેવગાણા તેમજ દેવગાણાથી અગીયાળી સુધીનો રોડ લાંબા સમયથી તૂટી ગયેલ છે. જેના કારણે ત્યાંથી અવરજવર કરી રહેલા વાહનચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રવાહકો આ ગંભીર બાબતે વહેલી તકે ઘટતી કાર્યવાહી હાથ ધરે તેવી સ્થાનિક ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. સિહોર તાલુકાના જાંબાળા, દેવગાણા, રબારિકા તેમજ અગીયાળીને પરસ્પર સાંકળતા અત્યંત મહત્વપુર્ણ માર્ગોની હાલત તદ્રન બિસ્માર થઈ ગયેલ છે.૨૪ કલાક દરમિયાન વાહનોની અવર-જવરથી અવિરતપણે ધમધમતા ઉપરોકત મુખ્ય માર્ગોની દુર્દશાથી વાહન ચાલકોના મોંઘા ભાવના વાહનોની કિંમતી એસેસરીઝને વ્યાપક નુકશાન થઈ રહેલ છે.
આ ઉપરાંત દેવગાણાથી ખરકડી, અગીયાળી, તરકપાલડીથી કરમદીયા, અગીયાળીથી ટાણા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે, જયા ગેરન્ટી પિરીયડમાં બનાવવામાં આવેલા અનેક રોડ ટૂકા સમયગાળામાં જ ખુબ જ ખરાબ રીતે તૂટી ગયેલ છે. જયારે દેવગાણાથી જાંબાળા સુધીના માર્ગમાં ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે આ માર્ગો પર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આજથી સાડા ત્રણેક વર્ષ પુર્વે લાખો રૂપીયાના ખર્ચે બનાવવામાં આવેલા ઉપરોકત તમામ મહત્વના માર્ગો ખખડધજ હાલતમાં આવી ગયા હોય સ્થાનિક ગ્રામજનોમાં સત્તાધીશોની બેદરકારી અને લાપરવાહી ટીકાને પાત્ર બની છે. આ ગંભીર સમસ્યા બાબતે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યાએ અવારનવાર ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી હતી.