Bhavnagar
સિદસર – માવઠાને લીધે કિંમતી ઘઉંપાકમાં વ્યાપક બગાડથી ખેડૂતોની માઠી બેઠી
નરેશ ડાખરા
કમોસમી વરસાદમાં ખેડૂતોની આખા વર્ષની કમાણી તણાઈ ગઈ ; ભાવનગર જિલ્લામાં કપાસ, મગફળી, ઘંઉ, કેરી, જીરૂ અને ચણા સહિતના પાકનેે વિપરીત અસર
હવામાન ખાતા દ્વારા અપાયેલી કમોસમી વરસાદની આગાહી મુજબ ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રણેક દિવસથી પવનના વ્યાપક સુસવાટા અને કરા સાથે અડધાથી એકાદ ઈંચ જેટલા કમોસમી વરસાદ ત્રાટકતા આ મીની વાવાઝોડાથી જગતના તાત ખેડૂતોના જીવ તાળવે ચોંટી રહ્યા છે.છાસવારે થઈ રહેલા માવઠાથી મોંઘા ભાવના ઘઉં ખેતપાકમાં વ્યાપક બગાડ થતા ખેડૂતો ચિંતામગ્ન બની ગયા છે. ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ બાજરી, જુવાર,જીરૂ, ઘંઉ, ચણા, ધાણા,ડુંગળી સહિતના રવિપાક તૈયાર થઈ ચૂકયા છે
અને ખેડૂતો પરિવારના સભ્યો તેમજ શ્રમિકોની સાથે લણણીમાં વ્યસ્ત હતા ત્યાં છેલ્લા ત્રણેક દિવસથી ગોહિલવાડના વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી વાઝડી અને સફેદ કરા સાથે મીની વરસાદ ત્રાટકતા ખેડૂતો ચિંતીત જણાઈ રહ્યા છે.ગઈકાલે સફેદ કરા ખાબકતા મોટા ભાગના ખેતરો જાણે કે, સફેદ રણ જેવા સફેદ રંગના બની ગયા છે. વરસાદના પાણી ફરી વળતા ખેડૂતોએ લખલૂટ ખર્ચાઓ કરી મહામહેનતે વાવેલા કિંમતી પાકમાં ભારે બગાડ થવાની ભીતિ સેવાઈ રહી છે.ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ઉભેલા કપાસ,રાય, મેથી, ધાણા, જીરૂ, ઘંઉ, ચણા, ધાણા, ઉનાળુ તલ, મગફળી અને કઠોળ ઉપરાંત અન્ય પાકને વિપરીત અસર થઈ છે અને આ ખેતપાકને લાખ્ખોનું નુકશાન થયાનુ ખેડૂતોએ ચિંતીતવદને જણાવ્યુ હતુ.જો હજુ પણ કમોસમી વરસાદ શરૂ રહેશે તો અનેક ખેતરો જે બચી ગયા છે
તેમાં પણ મોટા પાયે નુકશાન થતા ખેડૂતોની દશા માઠી બેઠી છે જેથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાતા ખેડૂતોએ જાણે કે, આખા વર્ષની કમાણી કમોસમી વરસાદમાં તણાઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો દ્વારા પણ પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવાઈ રહ્યા છે. માવઠાથી પાકને બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા અથવા પ્લાસ્ટીક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકે તેવા પગલા ભરવા, શાકભાજી અથવા બાગાયતી પાકો ઉતારી લેવા અને સાવચેતીના આગોતરા પગલા લેવા તાકિદ કરાઈ છે.