Sihor
રાહદારીઓમાં રોષ – સિહોરના મુક્તેશ્વર મંદિર પાસે છાશવારે ઉભરાતું ગટરનું ગંદુ પાણી
પવાર
વારંવાર ધાર્મિક સ્થળ આગળના રસ્તા પર ઉભરાતી ગટરથી ભક્તોમાં રોષ, પાલિકાનું ગટર વિભાગ શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેની રાહમાં છે,
સિહોર નગરના પ્રસિદ્ધ મુક્તેશ્વર મંદિરના આંગણેથી પસાર થતા રાજમાર્ગ પર વારંવાર ગટરના પાણી રસ્તા પર ફરી વળવાની સમસ્યાને પગલે નગરના ભક્તોમાં અને રાહદારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ખુલ્લી ગટર હોય કે ભૂગર્ભ ગટર બંનેના પાણી વારંવાર રસ્તા પર ફરી વળવાના પ્રશ્નો ઉદભવી રહ્યા છે.
છાસવારે ઉભરાતી ગટરની સમસ્યાને પહોંચી વળવા પાલિકાનો પનો ટૂંકો પડ્યો છે. નગરના પ્રસિદ્ધ મુક્તેશ્વર મંદિર આગળ વારંવાર ગટરના પાણી રસ્તા પર ફરી વળે છે. જેના પગલે સવારે મંદિરે દર્શનાર્થે જતા ભક્તો મંદિરમાં પ્રવેશવું મુશ્કેલ બની રહે છે. જેથી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ગટર નું ગંદકી પાણી રોડ ઉપર રેલમછેલ વહી રહ્યું છે આ ધાર્મિક સ્થળે વહેલી સવાર થી દર્શનાર્થીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓએ ગંદકીના પાણી માંથી પસાર થવું પડે છે નગરપાલિકા તંત્રની છેલ્લા ઘણા સમયથી બેદરકારીનો ભોગ નગરજનો બની રહ્યા છે.