Sihor
માવઠાથી માઠી ; ભરસિઝને ઉત્પાદન બંધ – સિહોર પંથકમાં કમોસમી વરસાદથી ઇંટ ઉત્પાદકોને લાખોનું નુકસાન
કુવાડિયા
સિહોર પંથક સહિત જિલ્લામાં આવેલા ઈંટભઠ્ઠાને કરોડોનું નુકસાન ; ભઠ્ઠામાં મજુરી કરતા મજુરોની રોજગારી છીનવાઈ
ભાવનગર જિલ્લામાં છેલ્લા 15-20 વર્ષથી કોઈને કોઈ રીતે આવતી કુદરતી કે કૃત્રિમ આફત વચ્ચે ટકવા માટે સંઘર્ષ કરતાં ખેડૂતો અને ઈંટ ઉત્પાદકોને છેલ્લા ઘણા સમયથી સતત કમોસમી વરસાદનાં કારણે ભારે નુકસાની સહન કરવાનો વારો આવતાં સૌ કોઈ દુ:ખી બની ગયા છે. જિલ્લાનાં લગભગ દરેક વિસ્તારોમાં છેલ્લા દિવસોથી પડતા કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલ પાકો પલળતા બગડી જતાં ખેડૂતો નાસીપાસ થઈ ગયા છે. બીજી તરફ સિહોર સહિતનાં વિસ્તારોમાં હજારો પરિવારો ઈંટ ઉત્પાદન ઘ્વારા રોજીરોટી મેળવી રહૃાા હોય તેવા પરિવારો પણ કમોસમી વરસાદથી પરેશાન થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં આવેલા પલ્ટાથી પડી રહેલા કમોસમી વરસાદને લઈને સિઝનલ ઈંટ ઉત્પાદન કરતા એકમોની તૈયાર કાચી ઈંટો માવઠાના વરસાદમાં ગારો બની જતા ઈંટ ઉત્પાદન કરતા પરિવારોને મોટું આર્થિક નુકશાન થવા પામેલ છે.
ઈંટ ઉત્પાદકો દશેરાથી જુનમાસ સુધી ઈંટોનું ઉત્પાદન કરે છે. ત્યારબાદ ચોમાસાની ઋતુ શરૂ થતા 3 મહિના ઉત્પાદન બંધ રાખવામાં આવે છે.હોળીના તહેવારથી વરસી રહેલા કમોસમી વરસાદથી સિહોર અને ભાવનગર પંથકમાં ચાલતા મોટાભાગના ઈંટ ભઠ્ઠાઓ બંધ થવા લાગ્યા છે. જેના કારણે ઈંટ ઉત્પાદન મોટુ આર્થિક નુકશાન થયેલ છે. કમોસમી વરસાદ કારણે છેલ્લા ઘણા દિવસથી ઈંટોના ભઠ્ઠા બંધ રાખવામાં આવ્યા છે આથી ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજુરો પણ બેરોજગાર થયા છે. આગામી સમયમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો હજું વરસાદ પડશે તો ઈંટોના ઉત્પાદકોને મોટું નુકશાન થશે તે પણ હકીકત છે