Sihor
સિહોર નગરપાલિકા સત્તાધીશોના પાપે આજે શહેરની જનતા પાણી માટે વલખા મારી રહી છે ; જયદીપસિંહ ગોહિલ
પવાર
પાણી મુદ્દે કોંગ્રેસના આંબેડકર ચોકમાં ધરણા, 25 વર્ષના શાશનમાં શહેરની જનતા માટે પાણીની સમસ્યા પણ હલ ન થઈ શકી, 15 દિવસે લોકોને પાણી મળતું નથી, લોકો કફોડી સ્થિતિમાં જોવે છે – જયદીપસિંહ
સિહોરમાં પાણીની સ્થિતિને લઈ નાગરિકોની હાલત કફોડી બની છે. ઉનાળાના દિવસોમાં સ્વાભાવિક જ પાણીની જરૂરિયાત વધી જતી હોય, આવા સમયમાં પણ લોકોને જીવન જીવવા માટે પ્રાથમિક જરૂરિયાત એવા પાણીના વિતરણમાં ધાંધિયા કરવામાં આવી રહ્યા હોય, જે મુદ્દાને લઈ કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારે આંબેડકર ચોક ખાતે સવારથી સાંજ સુધી ધરણાં કરવામાં આવ્યા હતા. કોંગ્રી પ્રમુખ જયદીપસિંહ અને વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડાએ ભાજપ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સિહોર ન.પા.ના સત્તાધિશોની અણઆવડતના પાપે પીવાના પાણીના એક બેડા માટે જ્યાં-ત્યાં ભટકવું પડે તે શરમજનક બાબત છે. શહેરમાં લાંબા સમયથી પાણીનો કાળો કકળાટ યથાવત રહ્યો છે. નગરપાલિકા દ્વારા શહેરમાં દર ૧૫ દિવસે પાણી અપાય છે. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન ફકત ૪૦ થી ૫૦ દિવસ પાણી સપ્લાય થાય છે
અને પાણીવેરો ૩૬૫ દિવસનો વસુલ કરવામાં આવે છે. ધણીધોરી વગરની બની ગયેલી નગરપાલિકાની હાલની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે. ૧૨ થી ૧૫ દિવસ સુધી પાણી ન મળતા લોકોને જીવન દોહ્યલુ બની ગયુ છે. ઉનાળામાં પાણીનો વપરાશ પણ વધારે હોય છે ત્યારે પાણી ન મળતા સિહોરવાસીઓ છતે પાણીએ ટળવળી રહ્યા છે. સિહોરના મોટા ભાગના વિસ્તારોમાં નગરપાલિકાના સત્તાધીશોએ પાણી પ્રશ્ને હાર માની લીધી હોય તેમ અવારનવાર લોકોની એકની એક પાણીની અને દુષિત તથા દુર્ગંધયુકત પાણી મળવાની ફરીયાદ અલગ અલગ વિસ્તારોમાંથી લઈને બહેનોના ટોળા નગરપાલિકામાં આવતા હોય છે. તેેમ છતાં તંત્રવાહકો દ્વારા નકકર કામગીરી કરવામાં આવતી નથી. ઉનાળાની શરૂઆતમાં જ આવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે આવનારા આકરા ઉનાળાના દિવસોમાં શહેરીજનોની હાલત વધારે કફોડી બની જશે તેવુ લાગી રહ્યુ છે તેથી આ અંગે તંત્રવાહકો દ્વારા નકકર આયોજન અને પગલા લઈ શહેરમાં સમયસર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી જયદીપસિંહ ગોહિલ અને કિરણભાઈ ઘેલડાએ માંગ કરી છે