Palitana
પાલીતાણા જૈન મંદિર પર હુમલાના ઘેરા પડઘા: સમાજમાં રોષ : કડક પગલા લેવા હર્ષ સંઘવીનો હુકમ
અમદાવાદમાં જૈન લોકોનું સંમેલન મળ્યું: ઘટનાને મહિનો થવા છતાં કોઇની ધરપકડ નહીં
સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ અને સમગ્ર વિશ્વમાં જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે એવા મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને મલિન તત્વો દ્વારા ખંડિત કરવા માં આવ્યા છે. જેને લઇ અમદાવાદના જૈન સમાજની સંમેલન મળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન અગ્રણી અને કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઘટનામાં કડક કાર્યવાહી કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. આ સંમેલનમાં પાલીતાણા સુરક્ષા અંગે થઇ ચર્ચા થઇ હતી. જેમાં જૈન આગેવાનો અને કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. સંમેલનમાં હાજર અગ્રણી અભય શાહે જણાવ્યું કે સમગ્ર ઘટના ફક્ત ને ફક્ત કોઈક અસામાજિક તત્વો દ્વારા પોતાની મેલી મુરાદ પુરી કરવા માટે કરવામાં આવી છે.
આ ઘટના સમગ્ર જૈન સંઘ અને દુનિયાભરમાં આદિનાથ દાદા પ્રત્યે શ્રદ્ધા રાખતા લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ પહોંચાડનાર છે. ઘટના 26-11-2022 ના રોજે ઘટ્યા પછી કોઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં આવી નથી. પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાને આજ દિવસ સુધી કોઈ પણ કારણોસર ગંભીરતાથી લેવાઈ નથી. ગિરિરાજ ઉપરની અને આજુ બાજુની સરકારની મોટી-મોટી જમીનો ઉપર ગેરકાયદેસર કબ્જો કરનારા તથા શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ગેરકાયદેસર માઈનિંગ કરનારા અસામાજિક તત્ત્વો બેફામ રીતે પોતાની આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બેફામ ચાલુ રાખી શકે તે માટે એક ભયનું સામ્રાજ્ય ઉભું કરવા માટે પણ તેઓ દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય તે માનવા માટે પુરતા કારણો દેખાઈ આવે છે. જૈન સમાજે અલગ અલગ મુદ્દાઓને આધરે સરકાર સામે બાયો ચઢાવી છે.