Gujarat
‘બ્રીજ તૂટે છે, કમલમ્ કેમ નથી તૂટતું? ‘આપ’ના અનેક હોદ્દેદારો, કાર્યકરોને કોંગ્રેસમાં આવકારતી વખતે શક્તિસિંહ ગોહિલે માર્યા ચાબખા
કુવાડિયા
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આમ આદમી પાર્ટીના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ આજે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમને કોંગ્રેસ પક્ષમાં આવકાર્યા હતા. એ પ્રસંગે શક્તિસિંહે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી સતત વધતી જાય છે. ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરિવારને જીવન જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. રાજ્યમાં વારંવાર બ્રીજ-પુલ તૂટવાની ઘટનાઓ બને પરંતુ ક્યાંય કમલમ્ કાર્યાલય તૂટ્યું હોય તેમ જણાતું નથી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ મનોજ ભૂપતાણી, રમેશ વોરા – ઉપપ્રમુખ, અમદાવાદ શહેર, એસ.કે. પારગી – મંત્રી, અમદાવાદ શહેર, અજય ચૌબે – પૂર્વ લોકસભા પ્રભારી, નેહલ દવે – મીડીયા વિભાગ, પ્રદેશ પ્રવક્તા પરાગ પંચાલ સહિત મોટી સંખ્યામાં પ્રદેશના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં વિધિવત્ રીતે જોડાયા છે. તેઓને કોંગ્રેસ પરિવારમાં આવકાર આપતાં શક્તિસિંહ ગોહિલે કહ્યું, ‘દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ આમ આદમી પાર્ટીના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ વધુ મજબૂત બનશે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. કોંગ્રેસની વિચારધારા દેશની આઝાદી માટે લડત પણ લડી છે.’ લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં જ્યારે થોડો સમય બાકી છે ત્યારે અમદાવાદ સહિતના વિસ્તારમાંથી ૧૦૦થી વધુ કાર્યકર્તા જોડાતાં કોંગ્રેસ પક્ષની તાકાતમાં ઉમેરો થશે એવો વિશ્વાસ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ‘ભાજપ સરકારની નીતિ સંગ્રહખોરો- કાળાબજારીયાઓને આશીર્વાદ આપવાની હોવાથી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની કિંમતો સતત વધી રહી છે.
કોંગ્રેસ શાસનમાં ૨૦૧૪માં ૪૧૪ રૂપિયાનો ગેસ સીલેન્ડર મળતો હતો જે આજે ભાજપ સરકારના શાસનમાં ૧૨૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. શિક્ષણની હાલત અંગે તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, ‘ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય સેવા સતત કથળી રહ્યાં છે. શિક્ષણ અતિ મોંઘુ થતુ જાય છે, સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓને સતત તોડી નાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે ત્યારે ગુજરાતના સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને પરવડે તેમ ફીમાં શિક્ષણનો અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષ સતત લડાઈ લડી રહ્યું છે.’ ગુજરાત માટે સેવાના સાધનાના યજ્ઞમાં મોટી સંખ્યામાં જોડાયેલા આગેવાન-કાર્યકર્તાઓનું સૌનું તેમણે સ્વાગત હોવાનું જણાવ્યું હતું.’