Bhavnagar
ભાવનગર ; ગુજરાત ન છોડવાની શરતે યુવરાજસિંહના જામીન મંજુર
બરફવાળા
- તોડકાંડ કેસમાં 3 મહિના બાદ યુવરાજસિંહ જાડેજાને કોર્ટે રાહત આપી, પાસપોર્ટ જમા કરાવવો પડશે
ભાવનગરના ચકચારી તોડકાંડ કેસમાં આજે ભાવનગર કોર્ટ દ્વારા યુવરાજસિંહ જાડેજાના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ગુજરાત ન છોડવાની શરતે યુવરાજસિંહના જામીન મંજુર થયા છે. તોડકાંડ કેસમાં 3 મહિના બાદ યુવરાજસિંહ જાડેજાને કોર્ટે રાહત આપી છે. જોકે યુવરાજસિંહે પાસપોર્ટ જમા કરાવવો પડશે. તોડકાંડ કેસમાં ભાવનગર પોલીસ દ્વારા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ સહિત તેમના બે સાળાઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગર કોર્ટ દ્વારા અગાઉ યુવરાજસિંહના સાળા સહિત પાંચ લોકોના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહ સિવાય તમામ આરોપીના જામીન થતાં તોડકાંડ કેસમાં માત્ર યુવરાજસિંહ જ જેલમાં રહ્યા હતા. ત્યારે આજે યુવરાજસિંહના પણ જામીન મંજુર થતાં હવે તોડકાંડના તમામ આરોપીઓ જેલ મુક્ત થયા છે.
કલાક સુધી મેરેથોન પૂછપરછ પછી કરવામાં આવી હતી ધરપકડ
ભાવનગર ડમી ઉમેદવાર તોડકાંડ કેસમાં પોલીસે 22 એપ્રિલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. જે પછી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
જાણો શું હતો સમગ્ર કેસ
ડમી કાંડના તોડકાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ હતો. જેને લઇને યુવરાજસિંહ ઉપરાંત તેમના સાથીદારો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો હતો.
બિપીન ત્રિવેદીએ લગાવ્યા હતા આક્ષેપ
મહત્વનું છે કે યુવરાજસિંહની નજીકના ગણાતા બિપીન ત્રિવેદીએ ભાવનગર ડમી કાંડમાં યુવરાજસિંહ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ સામે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે 50 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તોડકાંડની ચેટ પણ તેમણે વાયરલ કરી હતી અને સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા હતા. આ ઘટના બાદ ડમીકાંડમાં ભાવનગર SOGએ યુવરાજસિંહને સમન મોકલ્યુ હતુ. જેમા પ્રથમ સમનમાં યુવરાજસિંહ હાજર થયા ન હતા અને બીજુ સમન મળતા તેઓ SOG સમક્ષ હાજર થયા હતા.