Gujarat
વાવાઝોડાને લઈને ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
પવાર
અલંગના દરિયાકિનારે 7 ફુટ મોજા ઉછળ્યા, જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી, બે દિવસ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાનું વાતાવરણ બદલાશે, જેમાં રાજ્યમાં બાયપરજોય ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. આ વાવાઝોડાને લઈને ઘોઘા બંદર પર 01 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. આ સાથે અલંગના દરિયાકિનારે હેવી કરંટ જોવા મળ્યો હતો જેના કારણે 7 ફુટ જેટલા મોજા ઉછળ્યા હતા, ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે.
જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે.ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે. જેમાં આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે જે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધવાની સાથે તીવ્ર થવાની સંભાવના છે, આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની આગાહી ક૨વામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે 7 જૂન સુધી ચક્રવાત બાયપરજોયના કારણે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે,રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.