Sihor
સિહોરના ગૌતમકુંડની દુર્દશાથી ભાવિકોમાં ભારોભાર આક્રોશ – કુંડની ચારે બાજુ કચરાના ઢગલા
પવિત્ર પરસોત્તમ માસ અને શ્રાવણ માસમાં પ્રસિદ્ધ પવિત્ર ધર્મસ્થાનોની યોગ્ય માવજત કરવામાં તંત્રની ઘોર બેદરકારી – કુંડની અંદર ચારે બાજુ લીલ જામી – જાળવણીના અભાવે કુંડની હાલત જોઈને જીવ બળે એટલી હદે ભયાનક દુર્દશા
કુવાડિયા
પવિત્ર પરસોત્તમ માસ અને શ્રાવણ માસમાં ચાલી રહયો છે. શિવભક્તો શિવમય બની જાય છે. સિહોર એક ઐતિહાસિક નગર છે. અહીં ગૌતમ ઋષિ આવીને વસ્યા હતા એવો આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે. ગૌતમ ઋષિએ અહીં તપ કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા હતા. પરંતુ આ ગૌતમ ઋષિ જે સ્થળે સ્નાન કરવા જતાં હતા તે ગૌતમ કુંડની હાલત આજે જર્જરીત હોય અહીં આવતા ભક્તજનોમાં તંત્ર વિરૂધ્ધ વ્યાપક રોષ જોવા મળી રહયો છે. સિહોરમાં નવનાથ ઉપરાંત ગૌતમેશ્વર મહાદેવ અને કાશી વિશ્વનાથ મહાદેવએ એવા ધાર્મિક સ્થળો છે કે જ્યાં ભાવિક ભક્તજનો માટે શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની નજીક જ ગૌતમ કુંડ આવેલો છે. આ કુંડમાં જે પાણી ભરેલું છે તે પાણી દુર્ગંધયુક્ત છે. અહીં આવનાર ભક્તજનો આ કુંડ જોઇને કુંડમાં સ્નાન કરવાનું જ માંડી વાળે છે.
આ છે ગૌતમકુંડની કરૂણ વાસ્તવિકતા! શ્રાવણ માસ દરમ્યાન સિહોરના નવનાથ અને કાશીવિશ્વનાથ મહાદેવ સહીતના સ્થળોએ ફક્ત સિહોર શહેર તાલુકામાંથી જ નહીં,પરંતુ સમગ્ર જિલ્લાભરમાંથી ભાવિક ભક્તજનો આવે છે. અહીં આવનાર ભક્તજનો તંત્ર વિશે શું વિચારતા હશે ? તંત્રની લાપરવાહીને કારણે ગૌતમકુંડની હાલત બિસ્માર બની ગઇ છે. કુંડની આજુબાજુ બાવળ તથા વનસ્પતિ ઊગી નીકળી છે, કુંડ ની અંદર લિલ જામી ગઈ છે. સ્નાન સમયે દુર્ઘટના સર્જાઈ તેવી સ્થિતિ ઉભી થઇ છે. આસપાસ કચરાના ઢગલા જોવા મળે છે. આ બાબતને ગંભીર ગણી તંત્ર આ કુંડને દુરસ્ત કરવા માટે યોગ્ય પગલાં લે તેવી સિહોરવાસીઓમાં પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.