Sihor
સિહોર નજીક આવેલ બજુડ ગામની ઘટના, રામાપીર મંદિરની દાનપેટી તોડી 25 હજારની ચોરી તસ્કરો ફરાર
પવાર
- ઉમરાળા તાલુકાના બજુડ ગામે બન્યો બનાવ ; ગ્રામજનોને મંદીરથી થોડે દુર બાજુના ખેતરમાંથી દાનપેટી મળી : અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ
સિહોર નજીક આવેલ ઉમરાળા તાલુકાના બજુડ ગામે એક મંદિરમાંથી કોઇ અજાણ્યા શખ્સો મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી તેમાંથી હજારોની રોકડ રકમની ચોરી કરી નાસી છુટ્યા હતા. જેની જાણ મંદિરના પૂજારીને થતાં મંદિરે દોડી ગયા હતા. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરી હતી. બજુડ ગામમાં આવેલ રામાપીરના મંદિરે કોઇ અજાણ્યા શખ્સો રાત્રિના સમય દરમિયાન મંદિરમાં પ્રવેશ કરી મંદિરની દાનપેટી ના નટ બોલ્ટ તોડી તેની અંદર રહેલી એક દાનપેટી ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
જેમાંથી આશરે 25 હજારની રોકડ હોવાનું મંદિરના પૂજારી મુકેશભાઇ તુલશીદાસ હરીયાણીએ જણાવ્યું હતું. ત્યાર બાદ આ બનાવ બનતા ગામના લોકો એકઠા થઇ ગયા હતા અને આજુબાજુમાં તપાસ કરતા મંદિરથી થોડે દુર પરશોતમભાઇ ઝવેરભાઇની વાડીમાંથી દાનપેટી તોડેલી હાલતમાં મળી આવી હતી. જેથી ગામના લોકો એકઠા થઇ આ ચોરીની જાણ ઉમરાળા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મંદિરના પૂજારી મુકેશભાઇ હરિયાણીએ ઉમરાળા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.