Sihor
સિહોર તાલુકાના ભાણગઢ નજીક કાળુભાર નદીના ધસમસતા પાણીમાં કોઝવે તૂટ્યો
દેવરાજ
છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસમાં વધારે પડતા વરસાદના લીધે કાળુભાર નદીમાં પૂર આવ્યુ છે અને ડેમના દરવાજા ખોલ્યા પાણીનો પ્રવાહ વધ્યો છે. સિહોર તાલુકાના છેવાડાનુ ગામ ભાણગઢ નજીકથી પસાર થતી કાળુભાર નદી પર પાળીયાદ જવાના રસ્તે થોડા સમય પહેલા કોઝવે બનાવવામાં આવ્યો હતો પણ કોઝવેમાં નદીના પ્રમાણમાં પાણીની જાવક માટે યોગ્ય જગ્યા ના હોય અને નાના ભૂંગળા નાખી સંતોષ માની લીધો હોવાથી કોઝવે તૂટી જવા પામ્યો છે તેમજ ખેતરોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ હમણા જ વાવણી કરી અને ખર્ચા કર્યા છે તેના પર પાણી ફરી વળ્યા છે ત્યારે ખેડૂતોને પડ્યા ઉપર પાટુ મારવા જેવો ઘાટ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે ભાણગઢ ગામના તમામ ખેડૂતોની સીમ કાળુભાર નદીના સામા કાંઠે આવેલ હોય પૂરના પાણી ઓસર્યા પછી હવે ખેડૂતો પોતાના ખેતરે કેવી રીતે પહોંચી શકે તે પણ એક મોટો પ્રશ્ન છે. બીજી તરફ જોઈએ તો તાજેતરમાં જ બનાવેલો કોઝવે આટલા પાણીમાં તૂટી પડવાથી કામની ગુણવત્તા પર પણ ગામલોકો પ્રશ્ન કરી રહ્યા છે.