Sihor
સિહોર : 20 રૂપિયાની ચ્હા ઢોળીને બજુડના દલાલના રૂ.1.18 કરોડના હીરા બદલી કાઢ્યા
Pvar
સુરતના હીરાબજારમાં મિટિંગ દરમિયાન ખેલ કરાયો : મુંબઈના ઠગ અને સાગરીતે નજર ચૂકવી એક પેકેટમાં ખાંડ અને બીજામાં ડુપ્લીકેટ હીરા મુક્યા : શંકા જતા મળવા બોલાવ્યા તો ફોન બંધ કરી દીધો ; ફેસબુક અને વ્હોટ્સએપ ગ્રુપમાં હીરાના ફોટા મુકતા બજુડના દલાલને અવારનવાર ફોન કરી ગઠીયાએ મુંબઈ આવવા વાત કરી હતી : બાદમાં સુરત મળવા બોલાવ્યો હતો
સિહોર નજીક આવેલ બજુડના હીરાદલાલને હીરા ખરીદવાનું કહી સુરત બોલાવી મહિધરપુરા હીરાબજારની એક ઓફિસમાં મિટિંગ કરી તે દરમિયાન 20 રૂપિયાની ચા દલાલ પર ઢોળી દલાલના રૂ.1.18 કરોડના હીરા બદલી પેકેટમાં ખાંડ અને ડુપ્લીકેટ હીરા મૂકી મુંબઈનો ઠગ અને સાગરીત ફરાર થઈ ગયા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સિહોર નજીક આવેલ ઉમરાળાના બજુડ ગામના 31 વર્ષીય ધર્મેશભાઇ બાબુભાઇ પવાસીયા ભાવનગર હીરા બજારમાં દલાલીનું કામ કરે છે.હીરા વેચવા માટે તેના ફોટા ફેસબુક અને વ્હોટ્સએપ ગ્રુપમાં મુકતા ધર્મેશભાઈએ બે મહિના અગાઉ રામેશ્વર જેમ્સના હીરા વેપારી પાસેથી તૈયાર નેચરલ વ્હાઈટ રાઉન્ડ ડાયમંડ હીરા વેચવા માટે દ=ફેસબુકમાં ફોટા મુક્યા હતા.તે જોઈ એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ મુંબઈના હીરા દલાલ ભરત કરશનભાઇ કોંધોલ તરીકે આપી મુંબઈ બીકેસીમાં મોટું નામ ધરાવતા અને લક્ષ્મી જેમ્સના નામે ઓફિસ ધરાવતા નંદીપ શાહને પસંદ આવ્યા છે તેમ કહી ધર્મેશભાઈને મુંબઈ આવવા કહ્યું હતું.જોકે, ધર્મેશભાઈએ ના પાડી હતી છતાં ભરત કોંધોલ તેમના સંપર્કમાં રહેતો હતો. દરમિયાન, ગત 10 ફેબ્રુઆરીના રોજ ભરતે ધર્મેશભાઈને ફોન કરી સુરત મહિધરપુરા હીરા બજારમાં ધંધા માટે આવ્યો છું અને 18 મી સુધી રોકાવાનો છું.
તમે સુરત આવી માલ બતાવી જાઓ તેમ કહેતા તે ગત શનિવારે સુરત આવ્યા હતા અને ભરતે આપેલા સરનામા મહિધરપુરા હીરાબજાર ટોકિયો ચાની બાજુમાં બાલાજી કૂપા બિલ્ડિંગમાં ઓફિસ નં.3 માં તેને મળ્યા હતા.તે સમયે ત્યાં અન્ય એક વ્યક્તિ હાજર હતો.ધર્મેશભાઈને ભરતને કુલ રૂ.1,18,09,875 ની મત્તાના 722.40 કેરેટના હીરાના બે પેકેટ જોવા આપ્યા હતા.હીરા જોઈને ત્રણ દિવસમાં પેમેન્ટની વાત કરતા ભરત હીરા પેકેટમાં મુકતો હતો ત્યારે થોડા હીરા નીચે પડયા હતા.જોકે, ધર્મેશભાઈએ ફરી હીરા ચેક કરીને અલગ અલગ પેકેટમાં મૂકી દીધા હતા.ધર્મેશભાઈએ હીરાના બંને પેકેટ એક કવરમાં પેક કરી બંનેની સહીઓ કરી સીલ મારવા માટે કાર્યવાહી કરતા હતા તે સમયે ભરતભાઈએ ચા મંગાવી હતી. તેઓ ચા પીતા હતા ત્યારે ત્યાં બેસેલા અજાણ્યાથી ભુલથી ચા ધર્મેશભાઈની બાજુમાં ઢોળાઇ હતી.ધર્મેશભાઈનું ધ્યાન નીચે પડેલી ચા પર હતું ત્યારે તે અજાણ્યાએ હીરાના બંને પેકેટ એક કવરમાં મૂકીને તેના ઉપર ધર્મેશભાઈ અને ભરતની સહી કરાવી સેલોટેપથી સીલ કરી દીધું હતું અને પેમેન્ટ મળ્યા બાદ હીરા આપવાના હોય તે સીલ પેકેટ ખિસ્સામાં મૂકી ધર્મેશભાઈ ભાવનગર જવા માટે રેલવે સ્ટેશન જવા નીકળી ગયા હતા.જોકે, રસ્તામાં હીરાના પેકેટનું વજન ઓછું લાગતા તેમને શંકા ગઈ હતી.આથી તેમણે ભરતને ફોન કરી આઇડી પ્રુફ, શેઠનું નામ સરનામું તેમજ ઓફિસનું કાર્ડ માંગતા તેણે થોડીવારમાં મોકલવાનું કહ્યું હતું પણ મોકલ્યું નહોતું.આથી તેને ફરી ફોન કરી પોતાની શંકાની વાત કરતા ભરતે તેમને મીની બજાર ડાયમંડ વર્લ્ડ ખાતે બોલાવ્યા હતા.જોકે, તે ત્યાં આવ્યો નહોતો અને તેના બંને ફોન પણ બંધ હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ છે તેવું જાણતા જ ધર્મેશભાઈએ પેકેટનું સીલ તોડીને બંને પેકેટ જોતા એક પેકેટમાં ખાંડ અને બીજામાં ડુપ્લીકેટ હીરા નીકળતા આ અંગે છેવટે ગતરોજ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભરત વિરુદ્ધ મુંબઈમાં તેમજ સુરતના મહિધરપુરા અને ખટોદરા પોલીસ મથકમાં ઠગાઈના ગુના નોંધાયા છે.