Sihor
સિહોર રેલવે સ્ટેશનનું રૂ.6.37 કરોડના ખર્ચે નવિનીકરણ કરાશે, આધુનિક બનશે
દેવરાજ
- કાયાપલટ થશે
- ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા સિહોર સહિત 17 રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવા જાહેરાત, વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
સિહોર રેલવે સ્ટેશનનું રૂપિયા 6.37 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના ૧,૩૦૯ રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે.



ત્યારે સિહોર સહિત સોનગઢ પાલીતાણા, દામનગર, બોટાદ, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા સિહોર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 6.37 કરોડ ફાળવવામાં આવતાં સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.