Sihor
સિહોર ; સમઢીયાળા સ્થિત પાંજરાપોળમાં વિકરાળ આગ ; લાખોની કિંમતનો ચારો બળીને ખાખ
દેવરાજ
ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, સૂકા ઘાસનો જથ્થો સળગીને સ્વાહા, લાખ્ખોનો ચારો બળીને ખાખ થયો, સિહોર સહિત ભાવનગર અન્ય તાલુકાના ફાયરો ઘટના સ્થળે પોહચ્યા
સિહોર નજીક આવેલ સમઢીયાળા ગામે આવેલ મહાજન પાંજરાપોળમાં ગત મોડી રાત્રે ફરી એકવાર વિકરાળ આગ ફાટી નિકળતા લાખોની કિંમતનો પશુચારો સળગીને રાખ થઈ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ સિહોર નજીક આવેલ સમઢીયાળા ગામે ખાનગી ટ્રસ્ટ સંચાલિત મહાજન ગૌશાળા આવેલી છે, પાંજરાપોળ સ્થિત ઘાસના ગોડાઉનમાં મોડી રાત્રે કોઈ અકળ કારણોસર ફરી એકવાર આગ લાગતાં પાંજરાપોળના સંચાલકોએ હાથવગા સાધનો વડે આગ ઓલવવા પ્રયત્નો હાથ ધરવા સાથે સિહોર તથા ભાવનગર ફાયરબ્રિગેડને જાણ કરતાં અગ્રિશામક દળનો વિશાળ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો,
અને ઘાસના જથ્થા ને આગથી બચાવવા ઘાસના પૂળાઓ અન્યત્ર સ્થળે ફેરવવા સાથે લાગેલી આગને પ્રયત્નો હાથ ધર્યા હતાં, દરમ્યાન આ કામગીરીમાં ગામનાં યુવાનો સાથે સેવાભાવી લોકો પણ જોડાયા હતા, આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુકા ઘાસના જથ્થામાં આગ પેટ્રોલની માફક પ્રસરી રહી હોય ફાયરબ્રિગેડના જવાનોને આ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી, દરમ્યાન લગાતાર પાણીનો મારો ચલાવી સવારે આગ ને ઓલવી નાંખવામાં સફળતા મળી હતી આ ઘટનાને પગલે લાખોની કિંમતનો સૂકા ઘાસનો જથ્થો સળગીને સ્વાહા થઈ ગયો હતો, આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, આગના બનાવ સમયે પશુઓને તત્કાળ અન્ય સ્થળે ખસેડવામાં આવતા જાનહાનિ ટળી હતી.