Gujarat
શક્તિસિંહનું શક્તિ પ્રદર્શન : ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા કરી, હૈયે હૈયું દળાયું
કુવાડિયા
હજારોની સંખ્યામાં સેંકડો કાર્યકરો પદગ્રહણ સમારોહમાં જોડાયા, કોંગ્રેસમાં નવોજોમ જુસ્સો, રાહુલ ગાંધીના જન્મદિને કાર્યભાર સંભાળશે, શક્તિસિંહ ગોહિલ સોમવારે ભગવાન જગન્નાથનો આશિર્વાદ મેળવશે, શક્તિસિંહને આવકારવા આખા રાજ્યમાંથી નેતાઓ-કાર્યકરો ઉમટી પડ્યા, ભાજપની ભ્રષ્ટાચારી સરકાર સામે લડવા ગુજરાતની જનતાને સાથ આપવા હાકલ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવી ઉત્સાહિત કોંગ્રેસે હવે લોકસભાની ચૂંટણી પર નજર રાખતા ગુજરાતમાં નેતૃત્વમાં પરિવર્તન કર્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસમાં એક પછી એક નેતાઓએ રાજીનામા આપ્યા હતા. આવા સમયમાં ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવાની જવાબદારી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે રવિવારે શક્તિપ્રદર્શન કરતાં ગાંધી આશ્રમથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પદયાત્રા કરી હતી. આ પદયાત્રાના અંતે શક્તિસિંહ ગોહિલે ગુજરાતની જનતા અને કોંગ્રેસ કાર્યકરોનો આભાર માન્યો હતો તથા સોમવારે ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈ સત્તાવાર રીતે ગુજરાત પ્રદેશપ્રમુખનો પદભાર સંભાળવાની જાહેરાત કરી હતી.
ગાંધી આશ્રમમાં ભજન કર્યા, પુષ્પાંજલિ અર્પણ કરી
ભાવનગરના કોંગ્રેસના નેતા અને પક્ષના રાષ્ટ્રીય આગેવાન શક્તિસિંહ ગોહિલને પ્રદેશપ્રમુખ તરીકે આવકારવાના કાર્યક્રમના ભાગરૂપે રવિવારે સવારે 10 વાગ્યાનો ભજન અને પદયાત્રાનું આયોજન કરાયું હતું. શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમ પહોંચી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા. શક્તિસિંહના નેતૃત્વમાં સવારે 10 કલાકે અમદાવાદમાં આશ્રમ રોડ પર ગાંધી આશ્રમ ખાતે ભજન અને પ્રાર્થના કરવામાં આવ્યા હતા. ત્યાર પછી શક્તિસિંહે સેંકડો કાર્યકરો સાથે ગાંધી આશ્રમથી પ્રદેશ કાર્યાલય સુધી પદયાત્રામાં કરી હતી. શક્તિસિંહ ગોહિલના પદયાત્રાના આ કાર્યક્રમમાં કોંગ્રેસ સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



પદયાત્રા શક્તિપ્રદર્શન નહોતું, ગુજરાતના લોકોનું પ્રેમનું દર્શન
શક્તિસંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે યોજાયેલી પદયાત્રામાં આખા ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પદયાત્રાને મારા કે કોંગ્રેસના શક્તિપ્રદર્શન તરીકે દર્શાવાઈ રહી છે, પરંતુ હકીકતમાં આ ગુજરાતના લોકોના પ્રેમનું દર્શન હતું. હું અહીં આવ્યો ત્યારે લોકો પૂછતા કે સંઘર્ષના આ કાળમાં તમે શું કરશો? મારો તેમને જવાબ છે કે મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે લડત ચલાવી ત્યારે એમ કહેવાતું કે અંગ્રેજોની સલ્તનમાં ક્યારેય સૂર્ય અસ્ત થતો નથી, પરંતુ તેમણે સત્યના માર્ગે અંગ્રેજો સામે આઝાદીની લડત ચલાવી અને સફળ થયા. હું પણ આજે એ જ કહીશ કે હું મારી તાકાત પર નહીં પરંતુ મહાત્મા ગાંધીજીના આશીર્વાદ અને સત્યને સાથે લઈને તમામ ગુજરાતીઓના સમર્થન અને પ્રેમથી અમે લડીશું.


રાહુલ ગાંધીના જન્મદિને સોમવારે પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળીશ
રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધન કરતાં શક્તિસિંહ ગોહિલે પક્ષના વરિષ્ઠ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના ચરણોમાં માથું નમાવી, તેમના આશિર્વાદ લઈને હું સોમવારથી પ્રદેશપ્રમુખનો પદભાર સંભાળીશ. આશ્રમ રોડ પર ચાલુ દિવસમાં પદયાત્રાના આયોજનથી ટ્રાફિકની સમસ્યા સર્જાય અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેથી આજે રવિવાર હોવાથી પદયાત્રાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો. વધુમાં આવતીકાલે રાહુલ ગાંધીજીનો જન્મ દિવસ છે. તેઓ દેશમાં મક્કમતાથી ભાજપ સામે લડી રહ્યા છે. કન્યાકુમારીથી શ્રીનગર સુધીની પદયાત્રા કરી તેમણે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. તેઓ મારા આદર્શ હોવાથી હું આવતીકાલથી કાર્યભાર સંભાળી. આ સાથે હું જગન્નાથ મંદિરમાં કાર્યભાર સંભાળી તેમના આશીર્વાદ લઈશ.