Sports
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે રોહિત શર્મા
ભારતીય સુકાની રોહિત શર્મા મીરપુરમાં 22 ડિસેમ્બરથી શરૂ થનારી બે મેચની શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ માટે ભારતનું નેતૃત્વ કરવા માટે બાંગ્લાદેશ પરત ફરે તેવી શક્યતા છે. ANIના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિત શર્મા રિહેબિલિટેશન માટે ગયો છે અને બીજી ટેસ્ટ મેચ પહેલા સ્વસ્થ થઈ જશે અને બીજી ટેસ્ટ માટે બાંગ્લાદેશ જશે.
ભારતના કેપ્ટન રોહિત શર્માને બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. જેના કારણે તે ત્રીજી અને અંતિમ વનડે રમી શક્યો નહોતો. આ ઉપરાંત, તે ચિત્તાગોંગમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ બહાર થઈ ગયો હતો. તેના સ્થાને કેએલ રાહુલને ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી.
અભિમન્યુ ઇશ્વરને ટીમમાં જગ્યા મળી છે
કેએલ રાહુલે તેની ગેરહાજરીમાં ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કર્યું, જ્યારે અનકેપ્ડ બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરન તેની જગ્યાએ ટીમમાં સામેલ થયા. 27 વર્ષીય ઇશ્વરન અત્યાર સુધીમાં 78 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 45.33ની એવરેજથી 5576 રન બનાવ્યા છે.
ઘણા મુખ્ય ખેલાડીઓ ઘાયલ થયા છે
માત્ર રોહિત શર્મા જ નહીં પરંતુ અન્ય ઘણા એવા ક્રિકેટરો હતા જે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ પહેલા ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. તેમાંથી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (પીઠ), મોહમ્મદ શમી (ખભા) અને રવિન્દ્ર જાડેજા (ઘૂંટણ) ઈજાના કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યા ન હતા.
આ સ્ટાર ખેલાડીઓ સમયસર સાજા થવામાં નિષ્ફળ રહ્યા છે અને બંને ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. આ ખેલાડીઓની જગ્યાએ નવદીપ સૈની અને સૌરભ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતે ઝડપી બોલર જયદેવ ઉનડકટનો પણ 17 સભ્યોની ટીમમાં સમાવેશ કર્યો છે.