Gujarat
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રહેશે
પવાર
આખરે શ્રદ્ધાળુઓની લાગણીનો વિજય : ગાંધીનગરમાં સીનીયર મંત્રીઓ સાથેની બેઠકમાં ટ્રસ્ટીબોર્ડે મોહનથાળ અને ચીકી પ્રસાદનો વિકલ્પનો અમલ કરવા ખાતરી આપી
ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે અને આજે ગાંધીનગરમાં સીનીયર મંત્રી ઋષીકેશ પટેલ તથા હર્ષ સંઘવીની હાજરીમાં અંબાજી મંદિરના ટ્રસ્ટીઓની મળેલી બેઠકમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવા નિર્ણય લેવાયો છે. આ અગાઉ પરંપરાગત રીતે અપાતા મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદે રાજયભરમાં વિરોધ થયો હતો અને સરકાર માટે પણ દરમ્યાનગીરી કરવાનો સમય આવી ગયો હતો.
આંદોલન રાજયભરમાં વિસ્તરે તે પુર્વે આજે એક તાકીદની બેઠકમાં અંબાજી મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતો પાટનગરમાં બે સીનીયર મંત્રીઓ સાથે મળ્યા હતા અને ચર્ચા બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રખાશે તેવી જાહેરાત કેબીનેટ પ્રવકતા મંત્રી શ્રી ઋષીકેશ પટેલે કરી છે. તેઓએ જણાવ્યું કે, આ પ્રસાદ દેશ-વિદેશમાં લાંબા અંતર સુધી મોકલવાનો હોવાથી તેની ગુણવતા સાથે પ્રશ્ર્નો ઉભો થતો હોય ચીકી પ્રસાદનો નિર્ણય લેવાયો હતો પરંતુ લોકોની આસ્થા સાથે આ મુદો જોડાયેલો હોવાથી મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવા નિર્ણય લેવાયો છે. સાથોસાથ ચીકીના પ્રસાદનો વિકલ્પ પણ ચાલુ રહેશે.