Sihor
વ્યાજખોરોના આતંકને ડામવા લોકો સહકાર આપે, ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ સામે કોઈ બાંધછોડ નહિ : પીઆઇ ભરવાડ
પવાર
ટ્સિહોરના ટાણા ગામે પીઆઇ ભરવાડની હાજરીમાં પોલીસનો લોકો સાથે સીધો સંવાદ, ટાણા ગામે પોલીસનો લોક દરબાર યોજાયો, ટાણા ગામે ટ્રાફિકની મુખ્ય સમસ્યા, પોલીસે વ્યાજખોરોના આતંકને ડામવા લોકો પાસેથી સહકાર માંગ્યો, ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ ટ્રાફીક સામે કોઈ બાંધછોડ નહિ ; પીઆઇ ભરવાડ
સિહોરના ટાણા ગામ ખાતે આજે પીઆઇના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામીણ વિસ્તારના આગેવાનો સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગ્રામીણ વિસ્તારના લોકોને હેરાન કરતા વ્યાજખોરો સામે લડત આપવા પોલીસે સહકાર માંગ્યો હતો, પોલીસે વ્યાજખોરો સામે અવાજ બુલંદ કરવા સરપંચો, આગેવાનો અને શ્રમિકો સાથે લોકદરબાર યોજયો હતો.લોક દરબારને સંબોધન કરતા પીઆઇ ભરવાડે કહ્યું હતું કે ગામમાં લાઈસન્સ કે પરવાના વગર ગરીબ અને શ્રમિક લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી તેમની પાસેથી પઠાણી વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નાણાં ધીરધાર અધિનિયમની કલમ હેઠળ પોલીસ મથકના હદ વિસ્તારમાં રજીસ્ટ્રેશન કે નોંધણી કરાવ્યા વિનાના વ્યક્તિઓ નાણાં ધીરધારનો કે વ્યાજ વટાવનો ધંધો કરી શકશે નહીં.
નિયત ધીરધારો સરકારે નિયત કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દરની રકમ વસૂલ કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરશે તો તે ગંભીર સજાને પાત્ર ઠરશે. શહેરમાં આવા ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જેમાં જાણ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવી લોકોને વ્યાજખોરોની બદીને ડામવા માટે પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી. તેમજ ટાણા ગામે ટ્રાફિકની સમસ્યાઓ બહુ ઘેરી બની છે જેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી, અહીં લોક દરબાર કાર્યક્રમમાં રાજકીય પક્ષોના અગ્રણી આગેવાનો, સામાજિક કાર્યકરો, વિવિધ સમાજના પ્રમુખો, ઉપસ્થિત રહી દરેક સમસ્યા તકલીફો માટેની ખુલ્લા મને ચર્ચા કરવામાં આવી હતી