Bhavnagar

પર્વ મહિમા : આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

Published

on

પવાર

  • આ વ્રતમાં ભગવાન પશુપતિનાથ તથા માતા પાર્વતીની પૂજા, અર્ચના, આરાધના કરવામાં આવે છે

ભારતીય સંસ્કૃતિમાં દરેક પર્વો, તહેવારોની ભીતર વ્યવહારિક, વૈજ્ઞાનિક, આધ્યાત્મિક, સામાજીક અર્થ અને કામના ભાવના, પ્રાર્થના છુપાયેલી હોય છે. શ્રધ્ધા અને આસ્થાથી કરવામાં આવતું કોઇ પણ કાર્ય કે વ્રત અવશ્ય યેનકેન પ્રકારે ફળપ્રદાન કરતું હોય છે. આવું જ નારી જીવન અને જગતને ઉત્કર્ષ ઉજાગર કરતું એના અંતરના ઓરતા પૂર્ણ કરતું એમના અંતરની અભીલાષાની અભિવ્યકિત અને પૂર્તિ કરતું પર્વ-વ્રત એટલે જયાપાર્વતી વ્રત. આ વ્રત અષાઢ સુદ 13થી શરૂ થાય છે અને અષાઢ વદ બીજના પૂર્ણ રાત્રી જાગરણ સાથે સમાપન થાય છે. આ વ્રત દરમ્યાન ભગવાન પશુપતિનાથ અને માતા પાર્વતીના પૂજા, અર્ચના, આરાધના કરવામાં આવે છે. આ વ્રત દરમ્યાન અલુણા એકટાણા કરવામાં આવે છે. આ દિવસો દરમ્યાન ગોળ પણ ગ્રહણ કરવામાં આવતો નથી કારણ એમાં પણ મીઠુ હોય છે એવું કહેવાય છે) છેલ્લા દિવસની રાત્રીએ જાગરણ (ઉજાગરો નહીં) કરાય છે. વાસ્તવમાં આ દિવસો દરમ્યાન શંકર-પાર્વતીની આરાધના કરવાની હોય છે. કારણ સંતુષ્ટ, સંયુકત એકતાનો પ્રતિક સમો આનાથી શ્રેષ્ઠ, સુખી પરિવારનો જોટો જગમાં જીવે એમ નથી.

parva-mahima-commencement-of-jaya-parvati-vrat-from-today

આ વ્રત કુમારકા અવસ્થામાં કરી શકાય પરંતુ એની ઉજવણી લગ્ન બાદ પાંચ, સાત, નવ, દસ, વીસ વર્ષે પણ કરી શકાય. આ વ્રતથી ઇચ્છીત વરની પ્રાપ્તિ થઇ મનના મનોરથો સિધ્ધ થાય છે તથા સૌભાગ્ય વૃધ્ધિ, સુખ, શાંતિ, ઐશ્ર્વર્ય તથા સંતાનની સુખાકારી પ્રાપ્ત થાય છે એવી અજબ આસ્થા આ વ્રત સાથે નારી જીવનમાં આરોપાયેલી છે. આ વ્રતનું નામ જયા-પાર્વતી પડવા પાછળનું કારણ એવું જણાય છે કે ભગવાન પશુપતિનાથના પરમ ભકત પુષ્પદંતની પત્નીનું નામ જયા હતું આ જયા મા પાર્વતીની પરમ પ્રિય સખી હતી જેથી એ બંનેની અમર યાદમાં આ વ્રતનું નામ જયા પાર્વતી પડયું. આની પાછળ વામન બ્રાહ્મણ અને સત્યા નામની બ્રાહ્મણીની કથા પણ સંકળાયેલી છે તો અમુક જગ્યાએ સત્યવ્રત બ્રાહ્મણ અને સત્યવતી નામની બ્રાહ્મણીની કથા પણ આલેખાયેલી છે. મુળમાં તો ઇચ્છિત મનોકામના પૂર્ણ થાય, પરિવારની સુખાકારી વધે સંયુકત પરિવારમાં સુખ, શાંતિ અને ઐશ્ર્વર્ય પ્રાપ્ત થાય અને ગૃહસ્થ જીવન સફળતા સુફળતાને વરે એવી ભવ્ય ભાવના આ વ્રતની ભીતર ભંડારેલી પડી છે. આના પૂજનમાં રૂ ઉપર કંકુ લગાડી માની ચુંદડી બનાવાય છે જેને ‘નાગલો’ કહે છે અને જેટલા વર્ષ વ્રત કર્યા હોય એટલી ‘ગોરણી’ જમાડી રંગે ચંગે ઉજવાય છે.

Exit mobile version