Bhavnagar
ગોહિલવાડમાં 70 બ્રેઈનડેડ દર્દીઓના અંગોના દાનથી 230 ને નવજીવન મળ્યું
પવાર
- ભાવનગરમાં આ પ્રવૃતિ અંગે જાગૃતતાનો અભાવ, અન્ય દર્દીને નવજીવન મળતુ હોય દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે પરિવારજનો સંમતિ આપી રહ્યા છે
ભાવનગર શહેરના માનવ અંગ ડોનેશન ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ભાવનગરમાંથી કુલ ૭૦ બ્રેઈનડેડ દર્દીઓના જુદા-જુદા અંગોનું પ્રત્યારોપણ કરીને આશરે ૨૩૦ દર્દીઓને નવજીવન બક્ષીને માનવતાની મહેંક ફેલાવી સમાજને નવી દિશા અપાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજયમાં વિવિધ સમાજમાં અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતાના કારણે અને ઝડપી કાઉન્સેલીંગથી અંગદાનનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે સુરત સહિતના અન્ય મહાનગરોની તુલનામાં ભાવનગર શહેર અને જિલ્લામાં અંગદાનના પ્રેરક સત્કાર્ય અંગે લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. જે અંગે ચિંતીત બનેલ સ્વ. પંકજભાઈ શાહ સહિત ભાવનગર શહેરના વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણીઓએ જાન્યુઆરી ૨૦૧૭ માં માનવ અંગ ડોનેશન ટ્રસ્ટની રચના કરી હતી.
ટ્રસ્ટીઓ દ્વારા ગોહિલવાડમાં અનેક પરિવારોને સ્વજનના બ્રેઈનડેડ થવાના કટોકટીના સમયે અંગદાનનું મહત્વ સમજાવાય છે.જેથી ૩૦ જુન ૨૦૨૩ સુધીમાં ભાવનગરમાંથી ૭૦ બ્રેઈનડેડ દર્દીઓના વિવિધ અંગોનું પ્રત્યારોપણ કરી આશરે ૨૩૦ દર્દીઓને નવજીવન બક્ષવાનું પ્રેરક પુણ્યકાર્ય કરાયેલ છે. અન્યને નવુ જીવન મળતુ હોય અસરગ્રસ્ત પરિવારના સભ્યો દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સંમતિ આપી રહ્યા હોય તેઓની જીંદગી બચી રહેલ છે. જેથી તેઓના આ સેવાકીય કાર્યની ચોતરફ સરાહના થઈ રહી છે. મૃત શરીરને અગ્નિદાહ આપતા કે દફનાવતા પહેલા કરવામાં આવેલુ શ્રેષ્ઠ દાન અંગદાન ગણાતુ હોય તે અંગે ભાવનગરમાં વ્યાપક લોકજાગૃતિ લાવવા માટે ટ્રસ્ટ દ્વારા સેમિનારના આયોજન કરાશે તેમ ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવાયુ હતુ.