Gujarat
હવે ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં દારૂની બોટલ મળી આવતા ખળભળાટ
પવાર
યુનિવર્સિટીઓના પ્રાંગણમાં ગાંજાના છોડ મળી આવ્યા, આ પ્રાણજીવન હોસ્ટેલનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો! છાત્રાલયનો રૂમ સીલ : વિદ્યાર્થીઓ ગાયબ થયા
રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી અને અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં ગાંજાના છોડ મળી આવ્યા બાદ હવે ગુજરાત વિદ્યાપીઠની પ્રાણજીવન હોસ્ટેલના રૂમમાંથી દારૂની બોટલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષણધામો જાણે નશાના ધામ બની રહ્યા છે. આ હોસ્ટેલના બિલ્ડીંગનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો. મળતી માહિતી મુજબ, ગૂજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માંથી હોસ્ટેલ મેનેજમેન્ટના વડા દ્વારા તપાસ કરવામાં આવતાં દારૂની બોટલ મળી આવી હતી. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ ઝડપાતાં રૂમ સીલ કરાઈ છે. ઇતિહાસ વિભાગના પીએચડી કરતા વિદ્યાર્થીના રૂમમાંથી આ દારૂની બોટલ મળી આવી છે, જેના પગલે વિદ્યાર્થીના એડમિશનને રદ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે.
જે પ્રાણજીવન બિલ્ડિંગનો પાયો ગાંધીજીએ નાખ્યો હતો એ જ હોસ્ટેલના રૂમમાંથી દારૂની બોટલ મળી આવી છે. હવે દારૂના નશામાં વિદ્યાપીઠ પણ બાકાત રહ્યું નથી. ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ-ચાન્સેલર ભરત જોશીએ જણાવ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠ માટે ખૂબ જ શરમજનક બાબત છે. હોસ્ટેલ વિભાગના જે વડા છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ દારૂની બોટલ મળી આવી છે. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા નથી અને વિદ્યાપીઠમાં અભ્યાસ નથી કરતાં એવા બહારના વિદ્યાર્થીઓ આવીને વ્યસન તેમજ અખાદ્ય વસ્તુઓનું સેવન કરતા હોવા અંગેની માહિતી મળી હતી, જે મામલે તપાસ કરવામાં આવી હતી અને એમાં દારૂની બોટલ મળી આવી છે.