Gujarat
હવે IPS અધિકારીઓ ‘આંગળીયાત’ PI-PSIને પોતાની સાથે લઈ જઈ શકશે નહીં : DGP આકરાં પાણીએ
કુવાડિયા
પીઆઈ-પીએસઆઈ જે જગ્યા પરથી સસ્પેન્ડ થયા હોય ત્યાં ફરીથી તેમને ફરજ સોંપવા માટેની માંગણી નહીં કરી શકાય : પોલીસ અધિકારી દ્વારા નામજોગ માંગણી કરવામાં આવતી હોવાથી પણ ડીજીપી વિકાસ સહાય નારાજ : પરિપત્ર પ્રસિદ્ધ કરી સૌને વાકેફ કરાયા
સામાન્ય રીતે કોઈ પોલીસ કમિશનર, એસપી કે રેન્જ આઈજીની બદલી થાય એટલે તેઓ પોતાની સાથે ‘આંગળીયાત’ મતલબ કે જેમની સાથે જે તે જિલ્લામાં પોતાની ફરજ દરમિયાન કામગીરી કરી હોય તે પીઆઈ અને પીએસઆઈની પણ બદલી કરાવીને સાથે લઈ જવાતા હોય છે. આવા સિલસિલો ઘણા લાંબા સમયથી ચાલ્યો આવતો હતો પરંતુ હવે રાજ્ય પોલીસવડા (ડીજીપી) વિકાસ સહાય દ્વારા તેના ઉપર બ્રેક લગાવી દેવામાં આવી છે અને તમામ આઈપીએસ અધિકારીઓને આ રીતે પોતાની સાથે પીઆઈ-પીએસઆઈને સાથે નહીં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડીજીપી દ્વારા આ અંગેનો પરિપત્ર પ્રસિદ્ધ કરીને તમામ અધિકારીઓને વાકેફ પણ કરી દેવામાં આવ્યા છે. ડીજીપી વિકાસ સહાય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય પોલીસની વિવિધ કચેરીઓના વડાઓ દ્વારા તેમની કચેરી પાસે પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરોમાંથી અમુક ચોક્કસ અધિકારીની નામજોગ માંગણી કરે છે.
આવી રજૂઆતોની ચકાસણી કરતા કેટલાક કિસ્સાઓમાં કચેરીના વડાઓ દ્વારા અગાઉ તેમની સાથે ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારીઓને તેમના નિયંત્રણ હેઠળની કચેરી ખાતે નિમણૂક આપવા રજૂઆત કરવામાં આવે છે જે યોગ્ય ન હોવાથી હવેથી આવી રજૂઆતોને બિલકુલ પ્રોત્સાહન આપવામાં આવશે નહીં. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, ફરજમોકુફ (સસ્પેન્શન) થયા બાદ ફરીથી હાજર થયેલા પીઆઈ-પીએસઆઈને ફરીથી એ જ કચેરીમાં ફરજ સોંપવાની માંગણી કચેરીના વડા દ્વારા કરવામાં આવે છે જે બાબત અત્યંત ગંભીર છે. આ પ્રકારની રજૂઆતો નહીં કરવા સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપી દેવામાં આવ્યો છે. અહીં કહેવાનો મતલબ એવો થાય છે કે, કોઈ પીઆઈ કે પીએસઆઈ જે તે પોલીસ મથકમાંથી બેદરકારી બદલ સસ્પેન્ડ થયા હોય અને તેમનો સસ્પેન્શન પીરિયડ પૂર્ણ થાય અને નોકરી પર પરત લેવામાં આવે એટલે તેઓ જ્યાંથી સસ્પેન્ડ થયા હોય તે જ જગ્યાએ ફરીથી મુકવાની રજૂઆત કરી શકાશે નહીં. આવી જ રીતે જ્યારે કોઈ અધિકારીઓની નામજોગ માંગણી કરવામાં આવે છે ત્યારે તેમણે અગાઉ જિલ્લા-શહેર-યુનિટ ખાતે ફરજ બજાવી છે કે કેમ ? તેની સેવાવિષયક માહિતીની ચકાસણી કર્યા વગર જ બદલીની ભલામણ કરી દેવામાં આવતી હોય છે જે વાત પણ યોગ્ય નથી એટલા માટે ડીજીપી કચેરી દ્વારા હવેથી આવી એક પણ ભલામણને ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી એવો સિલસિલો ચાલી રહ્યો હતો જેમાં અધિકારીની બદલી થાય એટલે તેની સાથે એકાદ-બે પીઆઈ તેમજ પીએસઆઈ સાથે સાથે બદલી મેળવી લેતા હતા. અત્યાર સુધી આ સિલસિલો ચાલ્યો પરંતુ શિસ્તના ચુસ્ત આગ્રહી એવા ડીજીપી વિકાસ સહાયના ધ્યાને આ ગંભીર બાબત આવી જતાં તેમણે તુરંત જ તેના ઉપર રોક લગાવી દીધી છે.