Sihor

આજથી માઁ શકિતની આરાધનાનું મહાપર્વ નવરાત્રીનો મંગલ પ્રારંભ : પ્રાચીન-અર્વાચીન રાસની રમઝટ

Published

on

આસમાની રંગની ચુંદડી રે, માની ચુંદડી લહેરાય… ચુંદડીમાં ચમકે ચાંદલા રે… ચાંદલા રે… માની ચુંદડી લહેરાય, કોરોનાના બે વર્ષ બાદ મુકત મને ઉજવાશે નવરાત્રી પર્વ : સિહોર સહિતના અન્ય શહેરો ગામોમાં અનેરો ઉત્સાહ : ઠેર ઠેર મંડપ બંધાયા, સુશોભન તથા રોશનીના શણગાર કરાયા : પ્રજાજનોમાં અદમ્ય ઉત્સાહ, આનંદ અને ઉમંગ

કોરોનાના બે વર્ષ બાદ આ વખતે માઁ જગદંબાની આરાધનાનું મહાપર્વ નવરાત્રી સિહોર સહિત સમગ્ર જિલ્લામાં અનેરા ઉલ્લાસ સાથે ઉજવાશે. તા. 26મીના સોમવારથી નવરાત્રી મહાપર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવના આયોજનો થયા છે.સમગ્ર સિહોરમાં નવરાત્રી પર્વ ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. સોમવારથી નાની-મોટી બાળાઓ રાસ-ગરબા રજૂ કરીને મૉં અંબાની ભકિત કરશે. જેમ બંગાળમાં ‘દુર્ગાપૂજા’ના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં ‘અંબા બહુચરા-કાળકા’ જેવી મહાશકિતવાળી દેવીઓની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું મહાત્મ્ય છે. વળી કોઇ કોઇ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી પંદરમો શરદ પૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શકિત પૂજા અતિ ઘણુ મહત્વ પરાપૂર્વથી ચાલ્યુ આવે છે.

from-monday-the-great-festival-of-worshiping-mother-shakti-the-great-festival-of-navratri-begins-on-tuesday-the-razzmatazz-of-the-ancient-archaic-rasa

અંબા, બહુચરા, મહાકાળી, ભદ્રકાળી, જક્ષણી, ખોડીયાર, રનાદે, આશાપુરી, એવા અનેક નામે ગરબા ગવાય છે. પરંતુ એમાં પ્રાધાન્ય તો શકિત પૂજાનો જ છે. નવરાત્રીના આ નવ દિવસોમાં ગામડે-ગામડે પોતપોતાની કુળદેવી મંદિરે કુંભસ્થાપન કરીને નવ દિવસ એની પૂજા-આરતી થાય છે.નવરાત્રીના અને પૂજામાં બેસનાર નવ દિવસ ઉપવાસ કરે છે. કયાંય ફરાળી ઉપવાસ થતા હોય છે તો કયાંય નકોરડા ! આઠમના દિવસે હવન થયા અને પછી નવ નૈવેદ્ય માતાજીને ધરાવીને પારણા કરવામાં આવે છે.

નવરાત્રી મહોત્સવનું આગવું મહત્વ રાતે જોવા મળે છે. હવે તો શહેરોમાં જ નહિ ગામડાઓમાં પણ માંડવડી અને સમુહ ગરબાના કાર્યક્રમો હાથ ધરાય છે. ભવ્ય રોશનથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે. માઇક લાઉડ સ્પીકર દ્વારા બુલંદ અવાજે સુરીલા કંઠમાંથી ગરબાની સુરાવલી પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહિ પુરૂષો પણ હાથમાં દાંડીયા લઇને તાલબધ્ધ રીત રાસ રમે છે ! સંગીતનો સાથ હોય, ઢોલ ત્રાંસાનો નાદ હોય, ગવડાવનારાના કંઠમાં પ્રાણ હોય અને પ્રેક્ષકોના ટોળા આ દ્રશ્ય જોનાર હોય પછી ઝીલનારાનાં પોરસ ચડે એમાં શી નવાઇ.. ઠેર ઠેર સ્ટેજ, મંડપો તૈયાર થઇ ગયા છે. બાળાઓની પ્રેકટીસ ચરમ સીમાએ છે. સોમવારથી મૉં ભગવતીની આરાધનાનો માહોલ શરૂ થશે. નવ-નવ દિવસ માઁ શકિતની આરાધના થશે.

Advertisement

Trending

Exit mobile version