Sihor
સિહોર તાલુકાની શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
બ્રિજેશ
કહેવાય છે ને કે વાંચેલું થોડા સમય માટે યાદ રહે, જોયેલું વધુ સમય યાદ રહે છે અને જાતે કરેલું કાર્ય લાંબો સમય યાદ રહે છે આવા જ હેતુ સાથે બાળકો વિજ્ઞાન વાંચે એના કરતાં જાતે અનુભવે અને મોડેલ બનાવે તો લાંબા સમય સુધી યાદ રહે છે. ભારતના પ્રથમ નોબેલ પુરસ્કાર અને ભારત રત્ન મેળવનાર વૈજ્ઞાનિક ડૉ. સી.વી.રામને કરેલ શોધની યાદમાં સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.
શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળામાં 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શાળામાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેમાં 50 જેટલા ભારત અને વિદેશના વૈજ્ઞાનિકોના ફોટાનું પ્રદર્શન, વૈજ્ઞાનિકોની માહિતીનું પ્રદર્શન, પ્રયોગશાળાના સાધનોનું પ્રદર્શન, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજ્ઞાન વરદાન કે શાપ, જો વીજળી ન હોય તો અને વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે 10 જેટલા બાળકોએ વક્તવ્ય આપ્યું હતું.
પ્રાર્થનાસભામાં વિજ્ઞાન ગીતો અને વિજ્ઞાન કાવ્ય પઠન રજૂ કરવામાં આવ્યા. ધોરણ 5 થી 8 ના બાળકોની બાળવૃંદ આધારિત 4 ટીમોને વૈજ્ઞાનિક ક્વિઝ રમાડવામાં આવી અને અંતમાં શાળાના 30 જેટલા બાળકોએ પોતે બનાવેલ વૈજ્ઞાનિક રમકડાં અને વિજ્ઞાન પ્રયોગો રજૂ કર્યા હતા. સમગ્ર દિવસ વિજ્ઞાનમય રહ્યો અને બાળકો ઘણું નવું શીખ્યા અને જાણ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન શિક્ષક શૈલેન્દ્રસિંહ ગોહિલ અને હિરેનભાઈ લખતરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને શાળા પરિવારે સહકાર આપ્યો હતો.