Sihor
સિહોરમાં દિવસેને દિવસે વધતા ઢોરના ત્રાસથી શહેરીજનોને ભારે હાલાકી, ઢોરને પકડવા ઉઠી માંગ
દેવરાજ
- ભૂરાયા’ ઢોરને પકડવા તંત્ર-ઢોર ક્યારે ‘ભૂરાયા’ થશે? પ્રજા લાચાર
- સિહોરના વિકળિયા ઢાળ આસપાસ બે ભૂરાયા આખલાઓએ વિસ્તારને માથે લીધો, ભારે ત્રાસ યથાવત : કાયદાના કડક અમલના ગુણગાન ગાતા અધિકારીઓને એક્શન લેવાની જરૂર
સિહોર શહેરમાં જાહેર માર્ગો પર રઝળતાં ઢોરને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ આખલા અને પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા બની ચુક્યા છે. નગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ગઈકાલે સિહોરના વિકળિયા ઢાળ આસપાસમાં બે ભૂરાયા આખલાઓએ વિસ્તારને માથે લઈને ધમાસણ મચાવ્યુ હતું. છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા બીનવારસી પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જતો હોય શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડે છે.
શહેરની તમામ મુખ્ય બજારોમાં, શાકમાર્કેટમાં તેમજ શેરી મહોલ્લાઓ,ચોકમાં તેમજ હાઈવે ઉપર આ પશુઓ અડીંગો નાખીને કલાકો સુધી પડયા પાથર્યા રહેતા હોય ત્યાંથી પસાર થવામાં વાહનચાલકોને અને ખાસ કરીને રાહદારીઓને હેરાનગતિ ભોગવવી પડે છે. જયા જુઓ ખાસ કરીને ઉકરડાઓની આસપાસ આખલાઓના ટોળાઓ નજરે પડતા હોય છે. આ આખલાઓ છાસવારે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ઢીંક મારવા દોટ મુકતા હોય છે. ત્યારે લોકોમાં તંત્રવાહકોની કાર્યપધ્ધતિની આકરી ટીકાઓ થઈ રહી છે. રઝળતા ઢોરને પકડવા તંત્ર ક્યારે જાગશે તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે.