Sihor
સમાધાન ન થાય તો આજથી સળંગ ચાર દિવસ બેંકો બંધ : કરોડો અબજોના વ્યવહાર ખોરવાશે
દેવરાજ
- શનિ-રવિ રજા, સોમ-મંગળ હડતાળ : સમાધાન માટેની એક બેઠક નિષ્ફળ
પાંચ દિવસનું સપ્તાહ કરવા, નવી ભરતી સહિત અર્ધોડઝન જેટલા પેન્ડીંગ મુદાઓ પર સરકાર સામે મેદાને પડીને બેંક કર્મચારી યુનિયનોએ સોમ-મંગળ સળંગ બે દિવસની હડતાળનું એલાન કર્યુ છે ત્યારે આ મામલે સમાધાન ન થવાના સંજોગોમાં આજથી સતત ચાર દિવસ બેંકો બંધ રહેવાની છે અને અબજો રૂપિયાના નાણાંકીય વ્યવહારો ખોરવાઈ જવાની શકયતા છે. સરકારી બેંકોના કર્મચારી-અધિકારીઓના યુનિયનો દ્વારા હડતાળનું સંયુક્ત એલાન આપવામાં આવ્યુ છે. ટેકનોલોજીના વધેલા ઉપયોગને પગલે હવે પાંચ દિવસનું સપ્તાહ લાગુ કરવા, જુની પેન્શન યોજના લાગુ કરવા, 1986 પુર્વે નિવૃત થયેલા કર્મચારીઓના પેન્શન અપડેટ કરવા, બેંકો પરનું કામનું ભારણ ઘટાડવા ખાલી જગ્યાઓ પર નવી નિમણુંક કરવા સહિતની માંગણીઓના ટેકામાં 30-31 જાન્યુઆરીએ હડતાળનું એલાન જાહેર કરવામાં આવ્યુ હતું.
બેંક યુનિયને એવો આક્ષેપ કર્યો હતો કે ઈન્ડીયન બેંક એસોસીએશન સાથે અગાઉ સમાધાન થયુ હોવા છતાં તેનો અમલ કરવામાં આવતો નથી એટલે હડતાળ સિવાય કોઈ છુટકો નથી. બેંક હડતાળ નિવારવા માટે સરકારે દરમ્યાનગીરી કરવાના પ્રયાસના ભાગરૂપે ચીફ લેબર કમિશ્ર્નરે બેઠક કરી હતી પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યુ ન હતું. હજુ વધુ બેઠક થવાનો ઈન્કાર કરાતો નથી. બેંક યુનિયનના સૂત્રોએ કહ્યું કે હડતાળ સોમ-મંગળ બે જ દિવસની છે પરંતુ તે પુર્વે કાલે ચોથા શનિવાર તથા ત્યારબાદ રવિવારની રજા છે એટલે સળંગ ચાર દિવસ બેંકો બંધ રહેવાની સ્થિતિ ઉભી થશે. હડતાળમાં સમાધાન ન થાય તો આજે શુક્રવારે બેંકોમાં જમા કરાવેલા કલીયરીંગના ચેકના નાણાં છેક છ દિવસે ખાતેદારોને મળશે. અબજો રૂપિયાના નાણાકીય વ્યવહારો ખોરવાશે. વેપાર ઉદ્યોગ પર તીવ્ર અસર થવાની આશંકા છે. કેન્દ્ર સરકારનું બજેટ 1લી ફેબ્રુઆરીએ રજુ થવાનું છે. 31મીએ સંસદ સત્ર ટાણે જ હડતાળ રહેનાર છે. દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના 9 લાખથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાશે.