Bhavnagar
નવા રસ્તા ભાંગ્યા તો આકરા પગલા : મુખ્યમંત્રીની સીધી ચેતવણી
કુવાડિયા
ભાવનગર સહિત આઠ મહાનગરોના મ્યુનિસિપલ કમિશ્નર સાથે પ્રિ-મોન્સુન સમીક્ષા કરતા ભુપેન્દ્રભાઈ : વરસાદની બદલાયેલી પેટર્ન સાથે સતર્ક રહેવા સૂચના
દર વર્ષની જેમ ચોમાસા પુર્વે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં તેમણે, ભાવનગર સહિત રાજયની 8 મહાનગરપાલિકાના કમિશ્નરો સાથે વિડીયો કોન્ફરન્સથી ચોમાસા પુર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ એવા સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા કે, બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એકશન પ્લાનમાં જરૂરી વ્યવસ્થા મહાનગરોમાં ઉભી થવી જરૂરી છે. માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઈન્સમાં કોઈ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલીક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચના આપી હતી. આઠેય મહાનગરપાલિકાએ સીટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-2023 અન્વયે જે પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કર્યા છે.
તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઈ ક્ષતિ ઉભી થાય તો સંબંધીતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ નહીં રખાય. આ મહાનગરોમાં લોકોની ચોમાસા દરમિયાન નાની ફરિયાદો કે રજુઆતોનો ત્વરીત પ્રતિસાદ મળવો જોઈએ અને અધિકારીઓ ફોન પર ઉપલબ્ધ રહે તે જોવા તાકીદ કરાઈ હતી. પાલિકા વિસ્તારમાં જરૂર પડયે સાધનો મોકલવા પણ કહ્યું હતું. ભાવનગર સહિત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સીટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અન્વયે જે પ્રિ-મોન્સુન એકશન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઈન્સમાં કોઈ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલીક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી હતી. ખાસ કરીને માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઈ ઢિલાશ ચલાવી લેવાશે નહીં તેવી તાકીદ કરતા કહ્યું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઈ ક્ષતિ ઉભી થાય તો સંબંધીતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં નહીં આવે. તેમણે લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદોના પ્રતિસાદ માટે દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઈ શકે તે બાબત પર ભાર મુકયો હતો. ભારે વરસાદને કારણે નાગરિકો, પશુઓનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઉભી થાય તો રિહેબીલીટેશન ટીમ, સલામત સ્થળો નિર્દિષ્ટ કરવાની કામગીરી અંગે બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી.