Sihor

વ્યાજખોરોનો ત્રાસ ; શિક્ષકને ધરમ કરતા ધાડ પડી વ્યાજખોરોએ 43 લાખ વસુલ્યા

Published

on

પવાર

  • વ્યાજખોરોના ત્રાસ, છેડતી સહિતના ગુનામાં ફસાવી દઇશુ તેવી ધમકી આપતા હતા, શિક્ષક સોનગઢ કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે

સિહોરના સોનગઢમાં કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં શિક્ષકને પડોશીએ વ્યાજે લીધેલી એક લાખની રકમમાં સાક્ષી તરીકે સહી કરવાનું ભારે પડી ગયું હતું. વ્યાજખોરોએ જે વ્યક્તિએ વ્યાજે પૈસા લીધા હતા તેને પડતો મુકી સાક્ષી તરીકે રહેલા શિક્ષકને માર મારી ધમકાવી રૂા.43,28,000ની રકમ પડાવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ શરૂ રહેતા આખરે શિક્ષકે એસસી એસટી સેલમાં લેખિતમાં ફરિયાદ કરી છે. દલસિંહ સેવાભાઇ મેડા (મુળ રહે.મધ્યપ્રદેશ, હાલ રહે. ગોમતેશ્વરનગર, ઘાંઘલી રોડ, સિહોર) સોનગઢ ખાતે કન્યાપ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

અગાઉ તેમની પડોશમાં પંકજભાઇ રાજ્યગુરૂ રહેતા હતા અને તેનો પુત્ર શિક્ષકના પુત્ર સાથે અભ્યાસ કરતો હતો. પંકજભાઇના બીજા પુત્રને જ્ઞાનમંજરીમાં એડમીશન લેવા માટે એક લાખની જરૂર હોય તેમણે દલસિંહભાઇને વાત કરી હતી અને વ્યાજ ચૂકવવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.દલસિંહભાઇને જાણવા મળ્યું હતું કે, સોનગઢના નીરવ ભરતભાઇ લુણી અને તેના કાકા અશોકભાઇ લુણી વ્યાજે પૈસા આપે છે એટલે પંકજભાઇને વાત કરતા પંકજભાઇએ મકાન ગીરવે મુકીને 1 લાખ વ્યાજે લીધા હતા અને તેમાં સાક્ષી તરીકે દલસિંહભાઇએ સહી કરી હતી.

harassment-of-usurers-the-usurers-collected-43-lakhs-after-raiding-the-teacher

પાછળથી નીરવ અને તેના કાકાને પંકજભાઇનું મકાન ગમી જતાં 15 લાખમાં સોદો કરી રૂા.11,50,000ના બે ચેક આપતા તેમાં પણ સાક્ષી તરીકે સહી કરી હતી. જો કે, પાછળથી પંકજભાઇએ મકાન અન્ય કોઇને પણ વેંચ્યું હોવાની જાણ થતા કાકા ભત્રીજાએ શિક્ષક પાસે વસુલાત શરૂ કરી હતી. બન્ને શખ્સ શિક્ષકને ધમકી આપતાં હતા કે, તેને ખોટા કેસમાં ફીટ કરી દઇશુ. શિક્ષીકા પાસે ખોટી ફરિયાદ કરાવીશુ તો તારી નોકરી જતી રહેશે. તુ પૈસા નહી ચૂકવે ત્યાં સુધી તારે દર મિહને 3 ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે. બન્ને શખ્સ શિક્ષકને તેની જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહેતા હતા. આમ, ત્રાસ અસહ્ય બનતા શિક્ષકે તેની કાર અને સિહોરના મકાનનું લખાણ કરી આપી વ્યાજ ચૂકવવાનું શરૂ કર્યું હતું અને આખરે જીપીએફ તેમજ અન્ય સગા સબંધીઓ પાસેથી ઉછીના નાણાં લઇને 11 લાખ ચૂકવ્યાં હતા.

બન્ને શખ્સે શૈલેષના નામે મકાનનુ સાટાખત કરાવ્યું હતું. જો કે, નાણાં ચૂકવ્યા બાદ પણ બન્ને શખ્સ શિક્ષકને હજી તારે 24 લાખ ચૂકવવા પડશે તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. શિક્ષકે નાણાં ચૂકવી આપ્યાં બાદ શેલેષને મકાનનું બાનખત રદ કરવા માટેની વિનંતી કરતાં શૈલેષ મામલતદાક કચેરી આવ્યો હતો. આ સમયે નીરવ, અશોક અને રઘુ લુણી આવ્યાં હતા અને તેમણે દલસિંહભાઇ તેમજ તેના પુત્રને માર માર્યો હતો અને સાક્ષી તરીકે આવેલા રાજેશને માર માર્યો હતો. ત્રણે શખ્સે જણાવ્યુ હતું કે, જો તુ 15 લાખ નહી ચૂકવે તો રહેવાનું મુશ્કેલ થઇ જશે. આમ, આરોપીઓએ એક લાખની રકમમાં સાક્ષી તરીકે રહેલા શિક્ષક પાસેથી 43,28,000 જેવી માતબર રકમ વસુલી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કરી માર મારતા આખરે શિક્ષકે એસસી એસટી સેલમાં નીરવ, અશોક અને રઘુ લુણી સામે ફરિયાદ આપી છે.

Advertisement

Exit mobile version