Bhavnagar
ભાવનગરમાં રવિવારે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘નવા કો ઉત્કર્ષે’ એકદિવસીય પરિસંવાદ યોજાશે
બરફવાળા
મૂર્ધન્ય કવિ-સાહિત્યકાર ઉમાશંકર જોષીની જન્મજયંતી નિમિત્તે
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા જ્ઞાનપીઠ પુરસસ્કૃત કવિ -સાહિત્યકાર ઉમાશંકર જોશીની 123મી જન્મજયંતીની ઉજવણી અવસરે નવા કો ઉત્કર્ષે. શીર્ષક હેઠળ ભાવનગરમાં પ્રથમવાર એકદિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. 23ના રવિવારે આયોજિત આ કાર્યક્રમમાં અનેક જાણીતા સર્જકોનો લાભ મળશે. છેલ્લાં ત્રણેક વર્ષોથી કવિતાલક્ષી કાર્યક્રમોના સાતત્યપૂર્ણ આયોજનો દ્વારા ગુજરાત અને ભારતના સીમાડાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય ઓળખ ઊભી કરનાર કવિતાકક્ષ ભાવનગરના ઉપક્રમે અને રાષ્ટ્રીય અંધજન મંડળના સહયોગથી આયોજિત આ સમારોહમાં ઉમાશંકર જોશીના ગદ્ય અને પદ્યસાહિત્ય વિષે જાણીતાં સર્જકો મણિલાલ હ. પટેલ તેમજ મીનળબેન દવે વક્તવ્ય આપશે. આ પ્રસંગે સુપ્રતિષ્ઠિત અને નવ્ય કવિઓના કાવ્યપાઠનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં હરીશ મીનાશ્રુ, મણિલાલ હ. પટેલ, વિવેક ટેલર, પારુલ ખખ્ખર ઉપરાંત સ્થાનિક કવિઓ જયેશ ભટ્ટ, પરેશ સોલંકી, જિતુભાઈ વાઢેર તથા નિકુંજ ભટ્ટ પોતાની કવિતાઓ રજૂ કરશે. આ ઉપરાંત ઉમાશંકર જોશીની કવિતાઓની સંગીતમય પ્રસ્તુતિ ફિરદૌસ દેખૈયા તથા અપેક્ષા ભટ્ટ દ્વારા થશે તો ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનનાં પ્રતિનિધિઓ દ્વારા ગદ્યખંડનું વાચિકમ્ તથા સમૂહગાન પણ પ્રસ્તુત થશે. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ, કવિ વિનોદ જોશી તથા રાષ્ટ્રીય અંધજન મંડળના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણી વિશેષ ઉપસ્થિત રહેશે. બે સત્રમાં વહેંચાયેલ આ કાર્યક્રમનું સંચાલન ભરત વાઘેલા તથા માધવ આસ્તિક કરશે. તા. 23 જુલાઈને રવિવારે સવારે 10 થી 4 કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળા સભાખંડ ખાતે આયોજિત આ કાર્યક્રમ માટે સંયોજક હિમલ પંડ્યા અને કવિતાકક્ષ પબ્લિક ટ્રસ્ટના સાથીઓ આખરી ઓપ આપી રહ્યા છે. કાર્યક્રમનું અકાદમી અને કવિતાકક્ષનાં ફેસબુક પેજ તેમજ યુટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારિત પણ થનાર છે. રસ ધરાવનાર ભાવકોને લાભ લેવા જણાવાયું છે.