Sihor
સિહોરના રાજપરા ખોડિયાર ખાતે તાલુકા કક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી – ડે કલેક્ટર દિલીપસિંહ વાળાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
પવાર
સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર ખાતે 26મી જાન્યુઆરીની તાલુકા કક્ષાની ઉજવણી દેશભક્તિના જુવાળ સાથે કરવામાં આવી હતી. ડે કલેકટર દિલીપસિંહ વાળાએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રધ્વજને વંદન કરી સલામી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અગ્રણીઓ અધિકારીઓએ ત્રિરંગાને સલામી આપી હતી. જે બાદ પોતાના વક્તવ્યમાં ડે કલેકટર દિલીપસિંહ વાળાએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રભાવના ઉજાગર કરવી એ દરેક સમાજ અને સંસ્થાની નૈતિક ફરજ અને કર્તવ્ય છે.


તો વધુમાં દેશને આઝાદી કેવી રીતે મળેલ અને તિરંગાનું મહત્વ શું છે, તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપેલ અને દેશનો તિરંગો એ ભારતની આન બાન શાન છે અને દેશની આઝાદી માટે બલીદાન આપનાર સ્વાતંત્ર સૈનિકો એ દેશનું ગૌરવ છે. આજના દિવસે 1947માં આઝાદીના સ્વરૂપમાં ભારતને નવજીવન મળ્યું અને એ નવજીવનને ટકાવી રાખવામાં એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વરૂપી તાકાત થકી ભારતીય પ્રજાસત્તાક પર્વએ મહત્વનો ભાગ ભજવ્યો છે.


વધુમાં જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધીજી, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશને ખરા અર્થમાં પ્રજાસત્તાક બનાવનાર ડો. આંબેડકર સહિત દેશના નિર્માણમાં યોગદાન આપનાર જાણીતા અજાણ્યા ભારતવાસીઓના આપણે ઋણી છીએ. આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું.


ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું અને સંકલિત બંધારણ છે. ખરા અર્થમાં પ્રજાસત્તાક મૂલ્યોને સમાવી દેશને ઉન્નતિના શિખરો પર લઈ જવામાં આપણા બંધારણનો સવિશેષ ફાળો રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ ડે પોલીસ પરેડ અને ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સ્કુલના બાળકોએ દેશભક્તિના ગીતો પર રાષ્ટ્રભક્તિ સભર નૃત્યો દ્વારા ઉપસ્થિત સૌ લોકોમાં રાષ્ટ્ર ભાવનાનો જોમ અને જુસ્સો ભરી દીધા હતા.