Gujarat
ગુજરાતમાં 3 બેઠકો માટે 14 જુલાઈએ થશે ચૂંટણી, વિદેશ મંત્રી જયશંકરનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે
ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ જુગલ લોખંડવાલા અને દિનેશ અનાવડિયા રાજ્યમાંથી તેમનો 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. આ ત્રણેય નેતાઓ ઓગસ્ટ 2017માં રાજ્યસભા માટે ચૂંટાયા હતા. રાજ્ય વિધાનસભામાં ભાજપની 156 બેઠકો જોતાં, પાર્ટી આ ત્રણેય બેઠકો જીતશે. કોંગ્રેસ પાસે 17 અને આમ આદમી પાર્ટી પાસે 5 સીટો છે.
આમ, ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ બાદ આ ચૂંટણીઓ રાજ્યસભા માટે નિર્ણાયક બની રહેશે. ભાજપ દ્વારા કેટલાક નામોની ચર્ચા થઈ રહી છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. આ અંતર્ગત 6 જુલાઈથી નામાંકન ભરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ રહેશે. બીજા દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 17 જુલાઈ સુધી નામો પરત ખેંચી શકાશે.
માંડવીયા-રુપાલાના કાર્યકાળ આવતા વર્ષે પૂર્ણ થશે
ભાજપના બે કેન્દ્રીય પ્રધાનો- મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાનો કાર્યકાળ એપ્રિલ 2024માં સમાપ્ત થશે. માંડવિયા વર્ષ 2018માં બીજી વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. રૂપાલા ત્રીજી વખત રાજ્યસભામાં ચૂંટાયા છે.
હાલ 8 બેઠકો ભાજપ, 3 બેઠક કોંગ્રેસ પાસે છે
ગુજરાતમાંથી રાજ્યસભાની 11 બેઠકો છે. હાલમાં ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ઉપરોક્ત ત્રણ ઉપરાંત ભાજપ તરફથી બે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા છે. માંડવીયા અને રૂપાલાનો કાર્યકાળ એપ્રિલ 2024માં સમાપ્ત થશે. ભાજપના સાંસદ નરહરી અમીન, રમીલા બારા અને રામ મોકરિયા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે. કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો કાર્યકાળ પણ આવતા વર્ષે પૂરો થશે.