Sihor
સિહોર સહિત જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ, મહદંશે પાક નિષ્ફળ
બરફવાળા
- મગફળી, કપાસ સહિતનો પાક પાણીમાં ડૂબી જવાથી સડી જવાની સંભાવના વધી ; મોટા ભાગના વાડી-ખેતરો પાણીથી લથબથ, અસરગ્રસ્ત ખેડૂતોમાં તહેવારોનો આનંદ ઓસરી ગયો
સિહોર સહિત જિલ્લામાં છેલ્લા સપ્તાહથી અવિરતપણે મેઘમહેર શરૂ રહેતા ભારે વરસાદથી જગતના તાત ખેડૂતોની કમર તૂટી ગઈ છે.ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશક દવાઓ નાખ્યા બાદ દિનરાત ભારે મહેનત કરી વાડી ખેતરોમાં ઉગાડેલ અને આગામી દિવસોમાં તૈયાર થનાર પાક મહદંશે નિષ્ફળ જવાના આરે આવી ગયો છે. ભારે વરસાદ વરસ્યા બાદ વાડી ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલની કામગીરી ફરી વખત ખોરંભે પડી ગઈ હતી. અતિવૃષ્ટિથી જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં કપાસ, મગફળી સહિતનો પાક પુરના પાણીમાં ડૂબી જવાથી હવે તો સડી જવાની પણ સંભાવના વધી રહેલ છે.
પુરના કારણે મોટા ભાગના ખેડૂતોના મહદંશે પાક પાણીમાં સતત ગરકાવ રહેવાના કારણે તેનો બગાડ થયો છે. વાડી ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા પાક ડૂબી જવાના કારણે છોડવા ઉપર માટી ચઢી ગઈ છે. છોડનો બહારનો દેખાવ જોઈને ખેડૂતો નિસાસા નાખી રહ્યા છે. સતત વરસાદ જારી રહેતા અવિરતપણે વાડી ખેતરમાંથી પાણી ઉલેચવાની કામગીરી વધી જતા જિલ્લામાં સખત મહેનત કરવાવાળા પરપ્રાંતિય મજુરોની અછત પણ જોવા મળી રહી છે. પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોમાં અધિક અને શ્રાવણ માસના તહેવારોની ઉજવણીનો આનંદ વિસરાઈ ગયો છે અને ખેતરમાં નુકશાનગ્રસ્ત પાકની આગળની કાર્યવાહી કઈ રીતે કરવી તેની ખેડુતોમાં દ્વિધા પ્રવર્તી રહી છે મગફળી અને કપાસનો પાક નિષ્ફળ જતા બચી ગયેલા પાકના ભાવ આસમાનને આંબી જશે જો હવે વરાપ નહિ નિકળે તો કેટલાક ગામોમાં પાક સાવ રફેદફે થઈ થવાની ભીતિ પણ સેવાઈ રહેલ હોય સરકાર દ્વારા વહેલી તકે નુકશાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી અસરગ્રસ્ત ખેડૂતોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.