Sihor
સિહોર નગરપાલિકામાં પાણી આપોના પોકાર સાથે દરરોજ ઉમટતા મહિલાઓના ટોળા – લોકોની સ્થિતિ કફોડી
પવાર
આકરા ઉનાળામાં લોકોની હાલત વધુ કફોડી બની જશે, દર 15 દિવસે દુષિત અને દુર્ગંધયુકત પાણી સપ્લાય કરવા છતા પાણીવેરો 365 દિવસનો ઉઘરાવાતા લોકોમાં આક્રોશ
સિહોર નગરપાલિકા દ્વારા શહેરની ૮૦ હજારની વસ્તીને ૧૨ થી ૧૫ દિવસ સુધી પાણી ફાળવવામાં ન આવતા લોકોમાં સત્તાધીશો સામે આક્રોશ બળવત્તર બની રહ્યો છે. પાણીની રોજીંદી રામાયણથી ત્રાસી ગયેલા સ્થાનિક રહિશોના ટોળેટોળાઓ દરરોજ પાણી આપોની માંગ સાથે નગરપાલિકા કચેરીમાં આવી રહ્યા છે. જયા ગૃહિણીઓ છાજિયા લઈને બળાપો વ્યકત કરી રહ્યા છે. સિહોર શહેરમાં લાંબા સમયથી પાણીનો કાળો કકળાટ યથાવત રહ્યો છે. નગરપાલિકા દ્વારા શહેરમાં દર ૧૫ દિવસે પાણી અપાય છે. આ રીતે સમગ્ર વર્ષ દરમિયાન ફકત ૪૦ થી ૫૦ દિવસ પાણી સપ્લાય થાય છે અને પાણીવેરો ૩૬૫ દિવસનો વસુલ કરવામાં આવે છે.
દરમિયાન નગરપાલિકાની ૫ાંચ વર્ષની મુદત ગત તા.૨૪,૨,૨૦૨૩ ના રોજ પુર્ણ થતા ચૂંટાયેલી બોડીનું વિસર્જન થઈ ગયેલ છે. ચીફ ઓફિસર તથા વહિવટદાર તરીકે ભાવનગરના નિવાસી કલેકટર બી.જે.પટેલ ચાર્જમાં છે. ત્યારે ધણીધોરી વગરની બની ગયેલી નગરપાલિકાની હાલની પરિસ્થિતિ દિન પ્રતિદિન બગડી રહી છે. ૧૨ થી ૧૫ દિવસ સુધી પાણી ન મળતા લોકોને જીવન દોહ્યલુ બની ગયુ છે. ઉનાળામાં પાણીનો વપરાશ પણ વધારે હોય છે ત્યારે પાણી ન મળતા સિહોરવાસીઓ છતે પાણીએ ટળવળી રહ્યા છે.
સિહોરના મોટા ભાગના વિસ્તારોમાં નગરપાલિકાના સત્તાધીશોએ પાણી પ્રશ્ને હાર માની લીધી હોય તેમ અવારનવાર લોકોની એકની એક પાણીની અને દુષિત તથા દુર્ગંધયુકત પાણી મળવાની ફરીયાદ અલગ અલગ વિસ્તારોમાંથી લઈને બહેનોના ટોળા નગરપાલિકામાં આવતા હોય છે. તેેમ છતાં તંત્રવાહકો દ્વારા નકકર કામગીરી કરવામાં આવતી નથી. ઉનાળાની શરૂઆતમાં જ આવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે આવનારા આકરા ઉનાળાના દિવસોમાં શહેરીજનોની હાલત વધારે કફોડી બની જશે તેવુ લાગી રહ્યુ છે તેથી આ અંગે તંત્રવાહકો દ્વારા નકકર આયોજન અને પગલા લઈ શહેરમાં સમયસર પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવી સ્થાનિકોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.