Sihor
સંપર્ક તુટ્યો : સિહોર ભાણગઢ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા ; તંત્ર વિચારે તે જરૂરી
પવાર
અઠવાડીયામાં બીજી વાર ભાણગઢ ગામમાં કાળુભાર નદીના પાણી ફરી વળ્યા : ગ્રામજનોની કફોડી હાલત, ગામ પાસેના કોઝ-વેને ચોમાસા પહેલાં ઊંચું લેવામાં આવે તો ગામનો સંપર્ક તો ન તૂટે પણ પાણી પહેલા પાળ બાંધવાની જરૂર
ચોમાસું બરાબર જામ્યું છે અને ચોમાસામાં સારો વરસાદ આવતાં સિહોર પાસેના ભાણગઢવાસીઓની ઊંઘ ઊડી જતી હોય છે અને અત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા સારા વરસાદથી ભાણગઢમાં પૂરના પાણી ફરી વળ્યા છે જેને પગલે ભાણગઢ ગામ સંપર્ક વિહોણું બની ગયું છે.અઠવાડીયામાં બીજી વાર ભાણગઢ ગામમાં કાળુભાર નદીના પાણી ફરી વળ્યા છે ભાણગઢ ગામ પાસે આવેલ કોઝ-વેને ચોમાસા પહેલાં ઊંચું લેવામાં આવે તો ગામનો સંપર્ક ન તૂટે પણ પાણી પહેલા પાળ બાંધવામાં આવે તો ચોમાસા ગ્રામજનોની આવી હાલત ન થાય.જૂની ગુજરાતી કહેવત છે કે ગરમાં વરસાદ અને ગોરખીને ઉજાગરો એમ ઉમરાળા પંથકમાં વરસાદ હોય તો ભાણગઢને ઉજાગરો.
એક અઠવાડિયામાં બીજી વાર ભાણગઢ ગામમાં કાળુભાર નદીના પાણી ફરી વળ્યા હતા. બે-ત્રણ દિવસ પૂર્વે પણ આ જ રીતે ભાણગઢ ગામમાં પાણી ફરી વળ્યા હતા. હવે બીજી વાર ભાણગઢ ગામમાં પાણી ઘુસી ગયા હતા જેથી ભાણગઢ સંપર્કથી વિમુખ બની જાય છે ચોમાસુ આવે ને ગામમાં પાણી પાણીબદર વરસે ચોમાસું આવે અને ભાણગઢ ગામ બેટમાં ફેરવાઇ જાય. કાળુભાર નદી બે કાંઠે વહે તો ભાણગઢવાસીઓ ભયના ઓથાર તળે આવી જાય પરંતુ ભાણગઢ ગામ પાસે આવેલ કોઝ-વેને ચોમાસા પહેલાં ઊંચું લેવામાં આવે તો ગામનો સંપર્ક તો ન તૂટે. આ બાબતે પાણી પહેલાં પાળ બાંધવી જોઇએ. આ તો ચોમાસું આવે અને ગામલોકો હેરાનની હાટડી થાય. આથી આ બાબતે આજે નહીં તો કાલે તંત્રએ વિચારવું જ પડશે. અન્યથા ભાણગઢવાસીઓની આ સમસ્યા કાયમી સમસ્યા બની જશે.